એક કદમ પ્રાકૃતિક કૃષિ તરફ:સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૩૫ જેટલા પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મ ખેડૂતો માટે ભજવી રહ્યા છે શિક્ષકની ભૂમિકા

0
મોડલ ફાર્મ થકી ખેડૂતો પ્રત્યક્ષ રીતે મેળવે છે પ્રાકૃતિક કૃષિ લાભોની જાણકારી: પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મ બનાવવા માટે ખેડૂતોને ચૂકવાઈ છે રૂ.૧૮,૫૦૦/- સુધીની આર્થિક સહાય
વર્ષ ૨૦૨૪-૨૫માં પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મ તૈયાર કરવા માટે રૂ. ૧૬.૭૫ લાખની સહાય ચૂકવાઈ
દેશની ઉન્નતિ માટે દરેક નાગરિકનું સ્વસ્થ સ્વાસ્થ્ય પાયાની જરૂરિયાતોમાં એક છે. ત્યારે પોષણયુક્ત ખોરાક લોકોને મળી રહે તે માટે દેશભરમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે હેતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા-નિર્દેશ હેઠળ મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી રાજ્યના ખેડૂતોને સ્વાસ્થ્ય, સમૃદ્ધિ તરફ નવી દિશા મળી છે. 
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા સચોટ પ્રયાસો થકી ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિ એ ગૌ આધારિત કૃષિ છે. ત્યારે પ્રાકૃતિક કૃષિ એ ગૌમાતાની સેવા અને લોકોને સ્વસ્થ જીવન પ્રદાન કરવામાં મહત્વનું યોગદાન આપી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ૩૨,૬૭૨ જેટલા ખેડૂતો અંદાજીત ૪૩૧૨૨ એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમજ  જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના ૨૩૫ જેટલા મોડલ ફાર્મ ખેડૂતો માટે શિક્ષક સમાન ભૂમિકા ભજવી પ્રાકૃતિક કૃષિના પાઠ શીખવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીના આધાર સ્તંભોને અનુસરીને બનેલા આ મોડલ ફાર્મ એક રીતે પ્રાકૃતિક કૃષિના પ્રેરણાધામ પણ બન્યા છે. જેમાં પ્રાકૃતિક ખેતીના આદર્શોને કેન્દ્રમાં રાખી પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે.
આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ભરત પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મ વિકસાવવા માટે ખેડૂતોને રૂ.૧૮,૫૦૦/-ની આર્થિક સહાય આપવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૨૩૫ મોડલ ફાર્મ બન્યા છે. આ વર્ષે ૧૦૦ જેટલા મોડલ ફાર્મ તૈયાર કરવામાં આવ્યા છે. પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મ તૈયાર કરવા માટે વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ. ૧૬.૭૫ લાખની સહાય ચૂકવવામાં આવી છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, મોડલ ફાર્મનો દરજ્જો પ્રાકૃતિક કૃષિના આધાર સ્તંભ છે, તેવા જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદાન, બીજામૃત, મિશ્ર પાક પદ્ધતિ સહિત પ્રાકૃતિક કૃષિનાં માપદંડો પર ખરાં ઉતરે ઉપરાંત પ્રાકૃતિક કૃષિ ગાય આધારિત હોવાથી ખેડૂતો ગાયોનું પાલન પોષણ કરતા હોય એટલે કે જે ખેડૂતો ગાય રાખતા હોય તેમના તેમના ફાર્મને મોડેલ ફાર્મ જાહેર કરવામાં આવે છે.
જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે સતત વિવિધ સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પ્રત્યક્ષ લાભોની જાણકારી મળી રહે અને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રેરણા મળે તે માટે જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના આ મોડલ ફાર્મની વિઝીટ કરાવવામાં આવે છે. આ દરમિયાન પ્રાકૃતિક કૃષિ વિશેના ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોનું પણ સમાધાન મળે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિ અભિયાન તેજીથી આગળ વધી રહ્યું છે અને હજારો ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પેદાશો થકી ઘણી સારી આવક પણ મેળવી રહ્યાં છે. 
સુરેન્દ્રનગર આત્મા પ્રોજેક્ટ દ્વારા જુદાજુદા ગામનાં ખેડૂતોને સમયાંતરે આ મોડલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવે છે. જેમાં પ્રાકૃતિક ખેતી ન કરતા હોય તેવા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરિત કરી વિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવે છે. જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવાન બનાવવા માટે આત્મા પ્રોજેક્ટ ટીમ દ્વારા ખેડૂતોની વચ્ચે જઈ તેમને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે અનુરોધ કરવામાં આવે છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top