કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં આજે, સોમવાર તારીખ ૨૮ એપ્રિલના રોજ ચોટીલા શહેર સંપૂર્ણપણે બંધ રહ્યું હતું. વેપારી આગેવાનો દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને ચોટીલા શહેરના વેપારીઓ, માર્કેટિંગ યાર્ડ અને ગ્રામ્ય વિસ્તારના તમામ ધંધા-રોજગાર સાથે જોડાયેલા લોકોએ સ્વયંભૂ પ્રતિસાદ આપ્યો હતો.
પહેલગામમાં થયેલા આ હૃદયદ્રાવક આતંકી હુમલામાં ૨૬ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાના વિરોધમાં ચોટીલા શહેરના વેપારીઓએ એકતા દર્શાવીને પોતાના ધંધાકીય કામકાજ બંધ રાખ્યા હતા. ચોટીલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રણજીતસિંહ ચૌહાણ અને સેક્રેટરી શ્રી મુકેશભાઈ શાહે એક સંયુક્ત નિવેદનમાં આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ હુમલાના પડઘા સમગ્ર દેશ અને દુનિયામાં પડ્યા છે. તેમણે દેશની એકતા અને અખંડિતતાને સમર્થન આપતા આતંકવાદીઓને કડક સજા થાય તેવી માંગણી કરી હતી.
ચોટીલા ચેમ્બર ઓફ કોમર્સે આ વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા શહેરના તમામ વેપારીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. શહેરના વેપારીઓએ સ્વૈચ્છિક રીતે બંધમાં જોડાઈને આતંકવાદ સામે પોતાની એકજૂથતાનું પ્રબળ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ઘટના ચોટીલા શહેરના લોકોની સંવેદનશીલતા અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણને દર્શાવે છે.