ચોટીલા ખાતે રૂ. ૨.૨૧ કરોડના ખર્ચે તૈયાર થયેલા નૂતન એસ.ટી.બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરતાં સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા

0
મુસાફરોની યાત્રા ઉત્તમોત્તમ, સુવિધાયુક્ત અને સુગમ બને તેવી રાજ્ય સરકારની નેમ :ગામડાઓને પણ શહેર સાથે જોડી, શહેર માફક સુવિધાઓ આપી ગામડાઓને જીવંત રાખવાના પ્રયાસો કરતી રાજ્ય સરકાર - સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા
વિશ્વ વિખ્યાત ચોટીલા યાત્રાધામ ખાતે નૂતન એસ.ટી. ડેપોના નિર્માણ થકી યાત્રાળુઓની યાત્રા સુગમ, સુરક્ષિત અને સુવિધાયુક્ત બની રહેશે - ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે રૂ. ૨.૨૧ કરોડના ખર્ચે તૈયાર થયેલા નૂતન એસ.ટી.બસ સ્ટેન્ડનું લોકાર્પણ સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરાના હસ્તે રીબીન કટ કરી તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ લોકાપર્ણ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરિકૃષ્ણભાઈ પટેલ, ચોટીલા ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ, અગ્રણી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરાએ પ્રસંગોચિત ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, મુસાફરોની યાત્રા ઉત્તમોત્તમ, સુવિધાયુક્ત અને સુગમ બને તેવી રાજ્ય સરકારની નેમ છે. માં ચામુંડાના સાનિધ્યમાં ચોટીલા ખાતે નૂતન બસ સ્ટેન્ડનું નિર્માણ થયું છે ત્યારે યાત્રાળુઓને આવનગામન માટે નવીનતમ પરિવહનની સુવિધા મળી રહેશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશ હેઠળ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન થકી જે વિકાસ કામોના ખાતમુહૂર્ત સંસદસભ્ય કે ધારાસભ્યશ્રી ના હસ્તે કરવામાં આવ્યા હોય તે જ વિકાસ કામોના લોકાર્પણ પણ જે તે સંસદસભ્ય કે ધારાસભ્યશ્રી દ્વારા જ કરવામાં આવી રહ્યા છે.
રાજ્યભરમાં પરિવહન ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે. મુસાફરોની સુવિધાઓમાં ઉતરોતર વધારો કરવા માટે એસ.ટી.નિગમ દ્વારા ચોમેર વિકાસ થઈ રહ્યો છે. આજે ગામડાઓને પણ શહેર સાથે જોડવામાં આવ્યા છે. ગામડાઓમાં પણ શહેર માફક સુવિધાઓ આપી ગામડાઓને જીવંત રાખવાના પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. 
આ તકે ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણે નવીન બસ સ્ટેન્ડની સુવિધાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી પ્રાસંગિક ઉદબોધન કરતા કહ્યું હતું કે, વિશ્વ વિખ્યાત ચોટીલા યાત્રાધામ ખાતે નૂતન એસ.ટી. ડેપોના નિર્માણ થકી યાત્રાળુઓની યાત્રા સુગમ, સુરક્ષિત અને સુવિધાયુક્ત બની રહેશે. ચોટીલા ખાતે અન્ય રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં યાત્રાળુઓ આવતા હોય છે ત્યારે, મોટા શહેરના બસ સ્ટેન્ડમાં હોય તેવી આધુનિક સુવિધાઓ સાથેનું આ બસ સ્ટેન્ડ લોકોને ખૂબ ઉપયોગી બની રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિકાસકામોની વણઝાર ઊભી કરવામાં આવી છે,
ત્યારે નવા રોડ રસ્તાઓ, બસ સ્ટેન્ડ, પાણીની સમસ્યાના કાયમી નિવારણ માટે નવી પાઇપલાઇનના કામ લોક હિતાર્થે કરવામાં આવી રહ્યા છે. 
આ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિભાગીય નિયામક શ્રી જે.બી કલોતરા દ્વારા શાબ્દિક સ્વાગત પ્રવચન તેમજ ચોટીલા ડેપો મેનેજર શ્રી એમ એન. મહંત દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. 
ચોટીલા ખાતે નવનિર્મિત એસ.ટી.બસ ડેપોના લોકાર્પણ પ્રસંગે ચોટીલા નગરપાલિકા પ્રમુખશ્રી મુકેશભાઈ શાહ, પદાધિકારીશ્રીઓ, હોદેદારશ્રીઓ, વિભાગીય યાંત્રિક ઇજનેર શ્રી એસ.પી. માત્રોજા પરિવહન અધિકારી શ્રી વી. બી. ડાંગર, નાયબ ઈજનેર શ્રી એ. ડી. મહેતા, એસટી સલાહકાર સમિતિના સભ્યો તેમજ એસ. ટી. વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બસ સ્ટેન્ડમાં આવેલી સુવિધાઓ.....
૨૦૪૩.૦૦ ચો.મી. જમીનમાં આશરે રૂ.૨.૨૧ કરોડના ખર્ચે આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરયુક્ત નવિન બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બસ સ્ટેન્ડમાં મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સહિત વેઇટિંગ રૂમ, કંટ્રોલ રૂમ, વોટર રૂમ, પાર્સલ રૂમ, સ્ટોલ, શૌચાલય, વિકલાંગ વ્યક્તિઓ માટે સ્પેશિયલ પ્રકારના શૌચાલય તથા સ્લોપીંગ રેમ્પ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top