જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાને સુરેન્દ્રનગર બાર એસોસિએશનના વકીલોએ સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. આ હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોની યાદમાં વકીલોએ કલેકટર કચેરી ખાતે મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વકીલોએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ દેશની અખંડતા અને એકતાને તોડવાના ઇરાદાથી નિર્દોષ પ્રવાસીઓ પર ફાયરિંગ કર્યું છે, જે અત્યંત નિંદનીય છે. બાર એસોસિએશને માંગ કરી હતી કે આ હુમલામાં સંડોવાયેલા તમામ આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમને સખત સજા મળે.
નિર્દોષ લોકોના માનવવધના વિરોધમાં સુરેન્દ્રનગરના વકીલોએ આતંકવાદ સામે સરકારને વધુ કડક પગલાં લેવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સરકારે આતંકવાદીઓને તેમની જ ભાષામાં જડબાતોડ જવાબ આપવો જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.
વકીલોએ પીડિત પરિવારો પ્રત્યે પણ પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.