સુરેન્દ્રનગર શહેરના સંત સવૈયાનાથ ટાઉનશિપ વિસ્તારમાં પાણીની લાઇનમાં અસામાજીક તત્વોના પાણી ચોરીને લીધે પૂરતું પાણી ન મળતાં રોષ જોવા મળ્યો હતો. જેના ભાગરૂપે આ વિસ્તારના રહીશો મહાનગરપલિકા કચેરીએ રજૂઆત અર્થે આવી ડોલ, બેડા, પાણીની નળી સાથે વિરોધ કર્યો હતો.
જો વાત કરવામાં આવે તો શહેરની મધ્યમાં આવેલા સંત સવૈયાનાથ સોસાયટી અને ઠાકર નગર સહિતના રહીશોને પીવાનું પાણી અનિયમિત અને અપૂરતું મળતા રોષ સાથે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે કમિશનરને રજૂઆત કરવા આપ નેતા અમૃત મકવાણા, રાજુ કરપડા, કમલેશ કોટેચા, દિપક ચિહલા, સતીશ ગમારા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કમિશનરને લેખિત રજૂઆત મુજબ સંત સવેયાનાથ ટાઉશિપ અને ઠાકરનગર વિસ્તારમાં અનેક રજૂઆત છતાં પાણી મળતું નથી. નલ સે જલની લાઇનો નાંખી પણ પીવાના પાણીની વિકટ સમસ્યા જેમની તેમ છે ધોળી ધજા ડેમ સંપ અને ટાંકીમાંથી પાણી પહોંચાડાય છે, રોજીંદા વપરાશનું પાણી મળતું નથી. આથી નાછૂટકે વેચાતા મોંઘા પાણી અને ટેન્કર મગાવી ઉનાળામાં કામ ચલાવું પડે છે. પાણીની લાઇન માટે રસ્તા ખોદ્યા બાદ બિસમાર બની ગયા, સ્ટ્રીટલાઇટનો અભાવ છે, 3 કિમીમાં એક પણ સરકારી શાળા નથી, આરોગ્ય કેન્દ્ર કે આંગણવાડી નથી. આથી સર્વે કરાય અને સુવિધા આપવા માગ કરી હતી.