એગ્રીસ્ટેક યોજના અંતર્ગત ખેડૂતોની થતી ફાર્મર રજીસ્ટ્રી વિશે વિસ્તૃત માર્ગદર્શન અપાયું:ગામોના સર્વાંગી વિકાસ માટેની દિશામાં નાગરિકોની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા પ્રયાસ
સુરેન્દ્રનગર જિલ્લામાં ‘રાષ્ટ્રીય પંચાયતી રાજ’ દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાએ તેમજ તમામ તાલુકાઓમાં અને ગ્રામ પંચાયતોમાં વિવિધ કાર્યક્રમોના આયોજન થકી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમોમાં પંચાયતી રાજ વ્યવસ્થાના મક્કમ પાયાની માહિતી આપતી વિવિધ પ્રવૃત્તિઓ તથા માર્ગદર્શન સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એગ્રીસ્ટેક યોજના અંતર્ગત ખેડૂતોની થતી ફાર્મર રજીસ્ટ્રી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપસ્થિત તમામને આ કામગીરીમાં સહયોગી બની ૧૦૦ ટકા પરિણામ હાંસલ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં વિશેષ ગ્રામસભાઓનું આયોજન કરી સ્થાનિક નાગરિકોને પંચાયતી રાજ સંસ્થાઓના કાર્ય અને મહત્વ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. તેમજ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સના માધ્યમથી ગામોના સર્વાંગી વિકાસ માટેની દિશામાં નાગરિકોની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલ કાર્યક્રમો દ્વારા લોકશાહી વ્યૂહના મૂળભૂત સ્તરે સશક્તિકરણના દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવ્યા છે. આ કાર્યક્રમોમાં અંદાજિત ૨૭,૦૦૦ થી વધુ પદાધિકારીશ્રી, અધિકારીશ્રી, કર્મચારીઓ તથા નાગરિકોએ સક્રિય ભાગ લીધો હતો.
અત્રે નોંધનીય છે કે, ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થાનું ઊંડું ઐતિહાસિક મહત્વ રહેલું છે. ૧૯૫૯માં બળવંતરાય મહેતા સમિતિની ભલામણના આધારે આ વ્યવસ્થાનો પાયો નખાયો હતો. જ્યારે ભારતના બંધારણીય ઢાંચામાં ૭૩મો સુધારો (૧૯૯૨) અમલમાં લાવવામાં આવ્યો હતો. ૨૪મી એપ્રિલ, ૧૯૯૩થી સમગ્ર દેશમાં પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય માન્યતા આપવામાં આવી હતી. ત્યારથી આ દિવસને દર વર્ષે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.