સુરેન્દ્રનગર જીલ્લાના મુળી, થાનગઢ, સાયલા અને ચોટીલાના ખેડૂતોના પડતર પ્રશ્નો, ખાસ કરીને સિંચાઈના પાણીની સમસ્યાને લઈને આમ આદમી પાર્ટી કિસાન સંગઠને સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. ત્યારે સંગઠનના નેતાઓએ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં સરકાર દ્વારા સિંચાઈના પાણી મુદ્દે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો તેઓ ગામડે ગામડે સભાઓ યોજીને મજબૂત ખેડૂત સંગઠન બનાવશે અને આંદોલનનો માર્ગ અપનાવશે.આ તકે ખેડૂત નેતા રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે, "અમારી મુખ્ય માંગ સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવાની છે. આ વિસ્તારના ખેડૂતો પાણીની અછતને કારણે પાક નિષ્ફળ જવાના ભય હેઠળ જીવી રહ્યા છે. જો સરકાર અમારી માંગણીઓ પર ધ્યાન નહીં આપે, તો અમે શાંત નહીં બેસીએ."અમૃતભાઈ મકવાણાએ ઉમેર્યું હતું કે, "અમે સરકારને અમારી સમસ્યાઓથી વાકેફ કરવા માટે અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હોવાથી આંદોલનનો માર્ગ અપનાવની ચિમકી ઉચ્ચારી હતી.
ત્યારે આ તકે ખેડૂત નેતાઓ વિક્રમભાઈ દવે, કમલેશભાઈ કોટેચા, મયુરભાઈ સાકરીયા, દીપકભાઈ, કિશોરભાઈ, અશોકભાઈ, અજીતભાઈ ખોરણી, મહેન્દ્રસિંહ, વિરમદેવસિંહ અને દિલીપસિંહ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંગઠનના નેતાઓએ ખેડૂતોને એકજૂથ થઈને તેમના હક્કો માટે લડવા માટે હાકલ કરી હતી.