પાણી પુરવઠા વિભાગ દ્વારા ટોલ ફ્રી નં.1916 સેવા શરૂ થયેથી અત્યારસુધીમાં કુલ 2,22,116 ફરિયાદો નોંધવામાં આવી છે, જેમાંથી 2,21,364 ફરિયાદો એટલે કે 99.66% ફરિયાદોનું સંતોષપૂર્વક નિવારણ કરવામાં આવ્યું છે. વર્ષ 2023-24માં 89,410 ફરિયાદો નોંધાયેલ હતી જેમાંથી 88,992 (99.53%) ફરિયાદોનું સંતોષપૂર્વક નિવારણ કરવામાં આવ્યું છે તથા જાન્યુઆરી 2024થી માર્ચ 2025 સુધીમાં 65,553 ફરિયાદો નોંધાયેલી હતી, જેમાંથી 65,509 (99.93%) ફરિયાદોનું સંતોષપૂર્વક નિવારણ કરવામાં આવ્યું છે.
કેવી રીતે કામ કરે છે ટોલ ફ્રી સેવા નં.1916
ગ્રામજનોને નડતી પીવાના પાણીની સમસ્યાઓની ફરિયાદ તેઓ ટોલ ફ્રી નં.1916 પર કરી શકે છે. તેમના દ્વારા ફરિયાદ મળ્યા બાદ, સંબંધિત ફરિયાદ વિશે સિવિલ, મિકેનિકલ, વાસ્મો જેવા સંબંધિત વિભાગોને જાણ કરવામાં આવે છે. ત્યારબાદ ફરિયાદકર્તાના નામ, ગામ, તાલુકો, જિલ્લો, મોબાઇલ નંબર અને ફરિયાદ અંગેની વિગતવાર માહિતી નોંધીને તેને ERP પોર્ટલ પર ઓનલાઇન કરવામાં આવે છે. ઓનલાઇન નોંધણી થયા પછી ફરિયાદીને ટેક્સ્ટ મેસેજ (SMS) અને ઇ-મેઇલ દ્વારા તેમની ફરિયાદનો નંબર આપવામાં આવે છે. ત્યારબાદ જે જિલ્લામાંથી ફરિયાદ આવી હોય, તેના સંબંધિત જવાબદાર વિભાગના સબ ડિવિઝન અધિકારીને ટેક્સ્ટ મેસેજ (SMS)અને ઇ-મેઇલ દ્વારા ફરિયાદની વિગતો જણાવવામાં આવે છે.
જિલ્લા કક્ષાએ ફરિયાદ મેળવ્યા પછી, અધિકારી ફરિયાદની સ્થળની મુલાકાત લઇને 48 કલાકમાં ફરિયાદનું નિરાકરણ લાવે છે. એકવાર ફરિયાદનું નિરાકરણ થઈ જાય, પછી સંબંધિત અધિકારી દ્વારા ERPમાં તે ફરિયાદને રિસોલ્વ કરવામાં આવે છે. ત્યારબાદ ફરિયાદકર્તાને ટેક્સ્ટ મેસેજ (SMS) દ્વારા ફરિયાદનું નિવારણ થઈ ગયું હોવાની જાણ કરવામાં આવે છે. પાણી પુરવઠા વિભાગના કોલ સેન્ટર દ્વારા ફરિયાદીને ફોન કરીને ફરિયાદ નિવારણ માટે કરવામાં આવેલ કામગીરી અંગેનો ફીડબેક પણ લેવામાં આવે છે.