સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા નાયબ કલેકટર મકવાણા દ્વારા આકસ્મિક રેડ કરી મુદામાલ જપ્ત કરી ગેરકાયદેસર ખનન વહન કરતા વાહન ચાલકો સામે તવાઇ બોલાવવામાં આવી રહી છે.
જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ગેરકાયદે ખનિજ વહનની પ્રવૃત્તિ પર નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણા તથા તેમની ટીમે રાત્રે અંદાજે ૮ થી ૧ વાગ્યા અરસમાં વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ તપાસમાં ચોટીલા-રાજકોટ હાઈવે, આણંદપુર રોડ, નાની મોલડી ગામ, આપા ગીગાના ઓટલો, સાંગાણી પુલ અને મઘરીખડા ગામ તરફના હાઈવે વિસ્તારોમાં તપાસ દરમિયાન રોયલ્ટી પાસ વગરના તેમજ ઓવરલોડેડ ૫ જેટલા ટ્રક પકડાયા હતા. આ રેડમાં કુલ જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત રૂ. ૧,૨૦,૮૫,૪૪૪ થવા જાય છે. આથી આ તમામ ટ્રકનું વે-બ્રિજ પર વજન કરીને તેમને મામલતદાર કચેરી ચોટીલા ખાતે રાખવામાં આવ્યા છે. ગુજરાત પ્રિવેન્શન ઓફ ઈલિગલ માઇનિંગ, ટ્રાન્સ્પોર્ટેશન અને સ્ટોરેજ રૂલ્સ ૨૦૧૭ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમ સુત્રો જણાવી રહ્યા છે. જયારે જપ્ત કરાયેલા મોબાઈલમાંથી મળેલી માહિતી મુજબ, આ સમગ્ર ઓપરેશન દરમિયાન ડેપ્યુટી કલેક્ટરની હલનચલનની માહિતી આપવામાં આવતી હતી.