· વડાપ્રધાનશ્રી એ નારીશક્તિને કેન્દ્ર સ્થાને રાખીને સામાજિક પરિવર્તનનો નવો અધ્યાય રચ્યો છે
· રાજ્ય સરકારે મહિલાઓના જીવનના દરેક તબક્કે મદદરૂપ થવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે
· ગુજરાતે માત્ર આર્થિક પ્રગતિ જ નથી કરી, પરંતુ સમાજના તમામ વર્ગોના ઉત્થાનનું પણ સતત ધ્યાન રાખ્યું છે
· ગુજરાતે માત્ર આર્થિક પ્રગતિ જ નથી કરી, પરંતુ સમાજના તમામ વર્ગોના ઉત્થાનનું પણ સતત ધ્યાન રાખ્યું છે
વાઘોડીયા ખાતે શ્રી વાઘેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ૧૧મા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી બન્યા હતા અને આ સમારોહમાં જોડાયેલા ૫૦૧ નવયુગલોને આશીર્વચન પાઠવ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવયુગલોને સુખી અને સમૃદ્ધ લગ્નજીવન માટે અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે, આ પ્રકારના સમૂહ લગ્નોત્સવથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ’નો મંત્ર સાકાર થાય છે. સમૂહ લગ્નને સમાજની આજના સમયની સૌથી મોટી જરૂરિયાત ગણાવી મુખ્યમંત્રી શ્રીએ ઉમેર્યું હતું કે, સમૂહ લગ્ન સમારોહના આયોજનથી એ પુરવાર થાય છે કે, આજે સમાજમાં સહયોગ અને એકતાનો ભાવ સશક્તપણે ઊભો થઈ રહ્યો છે.
તેમણે વધુ ને વધુ લોકો સમૂહ લગ્નોત્સવમાં જોડાય તેવો અનુરોધ કરતા જણાવ્યું હતું કે, આ લગ્નોત્સવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ' સૌના સાથ, સૌના વિકાસની' ભાવના અને સમરસતાનો ધ્યેય પણ પાર પાડે છે. આવા સુંદર આયોજનથી ધારાસભ્ય શ્રી વાઘેલાએ એક જન પ્રતિનિધિ તરીકે સામાજિક દાયિત્વનું પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હોવાનું શ્રી પટેલે ઉમેર્યું હતું. સમૂહ લગ્નોત્સવથી સમાજમાં સંપ, એકતા, ભાઈચારો અને અવરિત જનસેવાની ભાવના વિકસશે તેમજ રાજ્ય અને રાષ્ટ્રના વિકાસની ગતિને પણ વેગ મળશે, તેમ તેમણે જણાવ્યું હતું.