સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વિશ્વકર્મા હોલ, રતનપર ખાતે સ્થાનિક બહેનો સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમીનારમાં મહિલા અને બાળ અધિકારી શ્રી વી.એસ.શાહ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરી મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી ભરતભાઈ ડાભી દ્વારા મહિલાઓને લગતા કાયદાઓની માહિતી આપવામાં આવી હતી.
DHEW સ્ટાફ દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા અમલીકૃત યોજનાઓ, મહિલા સ્વાવલંબન યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના, બેટી બચાવો બેટી પઢાવો યોજના, વ્હાલી દિકરી યોજના વગેરે મહિલાલક્ષી યોજના અંગેની માહિતી આપવામાં આવી હતી.
પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર (પી.બી.એસ.સી)ના કાઉન્સેલરશ્રી સંગીતાબેન દ્વારા પી.બી.એસ.સી સેન્ટરની માહિતી આપી હતી. તદુપરાંત લો-કોલેજના પ્રોફેસરશ્રી ડો.પરેશકુમાર ડોબરીયા દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ- ૨૦૦૫ની વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ કાયદાકીય માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા મિશન કોર્ડીનેટર શ્રી જલ્પાબેન દ્વારા “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી”ની જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બહેનો જોડાયા હતા.