આંખની સમસ્યાઓને અવગણશો નહી, જો યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો આ રોગ અંધત્વનું કારણ પણ બની શકે છે:ગાંધી હોસ્પિટલમાં ઝામર(ગ્લુકોમા) અઠવાડિયુ અંતર્ગત લોકોને માહિતી અપાઇ:હોસ્પિટલમાં સોમ,બુધ,શુક્ર આંખની તપાસ કરવામાં આવી રહી છે
વિશ્વને દરરોજ જોવાનું એ એક અદ્દભુત આશ્ચર્ય છે. તેથી ઝામરના આંખના રોગને વિશ્વ જોવાના માર્ગમાં ન આવવા દો. કારણ કે વર્તમાન સમયે આંખોના વિવિધ રોગોના નાનાથી માંડીને મોટેરાઓ ભોગ બની રહ્યા છે. આંખની જાળવણી લોકો માટે જરૂરી બની છે. કારણ કે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં આવા દર્દીઓ પણ દિવસે દિવસે વધી રહ્યા છે આ હોસ્પિટલમાં સોમ,બુધ અને શુક્રવારે આંખો માટે મોતીયાની, ઝામરની, વેલની, ચશ્માના નંબર, પડદાની તેમજ છારી સહિતની તપાસો કરવામાં આવે છે.
હોસ્પિટલમાં આ ત્રણ દિવસો દરમિયાન દૈનિક 100 જેટલી ઓપીડી નોંધાઇ રહી છે. જેની સામે 10 જેટલા દર્દીઓ ઝામરના ધ્યાને આવે છે. તો બીજી તરફ હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં ઝામર અઠવાડિયું ચાલે છે. જેમાં તા. 9-3-2025 થી 15-3-2025 સુધી ઝામર વિશે લોકોને વિવિધ પ્રકારની માહિતી આપવામાં આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી, આંખ વિભાગ મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલમાં પણ આ અંતર્ગત લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં આંખમાં દુ:ખાવો થાય અને નો પણ થાય, પેરીફેરલ દ્રષ્ટિમાં ઘટાડો થાય અને જાણે પાઇપમાંથી જોતા હોય તેવુ લાગે તો ઝામર(ગ્લુકોમા) હોઇ શકે છે.
આ ઉપરાંત 40 વર્ષથી ઉપરના ઉંમરની વ્યક્તિ, જેને ડાયાબિટીસ હોય કે જેના નજીકના કુટુંબના વ્યક્તિને ઝામરનું નિદાન થયેલુ હોય તો આંખની તપાસ નિયમિત કરાવવા જણાવાયુ હતુ. કારણ કે ઝામર કાયમી અંધાપો નોતરી શકે છે. જો આવા લક્ષણો જણાય તો તુરંત નજીકના સરકારી હોસ્પિટલ કે આરોગ્ય કેન્દ્ર ઉપર આંખની તપાસ કરાવવી જોઇએ. અને મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ આંખ વિભાગ સુરેન્દ્રનગર અને આર.આર. જનરલ હોસ્પિટલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લીંબડી ખાતે તપાસ થાય છે.
આ ઝામર(ગ્લુકોમા) અઠવાડિયાના કાર્યને સફળ બનાવવા માટે નેત્રસર્જન અને પ્રોગ્રામ ઓફિસર એનપીસીબી એન્ડ વીઆઈ ડો. કેતન કે. લિંબાચીયા તેમજ ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ રૂપેશ યોગી અને જયેન્દ્ર ઠાકોર, ડીબીસીએસ એકાઉન્ટન્ટ જય સુમેરા અને નર્સિંગ સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યા છે.
ઝામર(ગ્લુકોમા)ના લક્ષણોને ઓળખો અને તરત જ સારવાર કરાવો
એક અથવા બંને આંખોથી નજીક અથવા દૂરની વસ્તુ ઝાંખી દેખાવી, આંખો લાલ થવી, ધૂંધળું દેખાવુ, સતત માથાના દુ:ખાવો, સતત આંખનો દુ:ખાવો, માથાના દુ:ખાવા દરમિયાન ઉલટી થવી, વારંવાર ચશ્માનો નંબર બદલાવો, પ્રકાશની આસપાસ મેઘધનુષ્ય રંગો દેખાવા. આમ જો આવા લક્ષણો દેખાય તો તરત જ સારવાર કરાવવી જરૂરી બને છે.