પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના વેચાણ સ્ટોરની મુલાકાત લેતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. એસ. યાજ્ઞિક

0

સુરેન્દ્રનગરમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. એસ. યાજ્ઞિક દ્વારા જિલ્લામાં આવેલા પ્રાકૃતિક કૃષિના ખેડૂત ઉત્પાદક સંગઠન – એફ.પી.ઓ. દ્વારા કાર્યરત પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના વેચાણ સ્ટોરની મુલાકાત લેવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સ્ટોર દ્વારા વેચાણ થતા ઉત્પાદનો વિશે જાણકારી મેળવી હતી. આ તકે તેઓએ પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણની કામગીરી વિશે વિસ્તૃત જાણકારી મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમજ આ કાર્ય વધુ તેજગતિથી ચાલે તે માટે શક્ય તમામ પ્રયાસો કરવા ઉપર એફ.પી.ઓ.ના ડિરેક્ટરો સાથે પરામર્શ કર્યો હતો. જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા કૃષકોની સંખ્યા વધી રહી છે, ત્યારે આસપાસના ગામોના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના આ અભિયાનમાં વધુને વધુ જોડવા માટે અનુરોધ કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના ખેડૂતોના કલ્યાણ માટે જ ૧૦,૦૦૦ જેટલા ખેડૂત ઉત્પાદક સંગઠન (એફ.પી.ઓ.) દેશને સમર્પિત કર્યા છે. નાના અને સીમાંત ખેડૂતો પાસે ઓછી જમીન હોય છે અને સાથે સાથે ખેતીના આધુનિક સાધનો, ખાતર, પિયત અને બિયારણની વ્યવસ્થા પણ મર્યાદિત હોય છે. જેથી આવક ઓછી અને ખર્ચ વધુ થાય છે. 

ખેડૂત મિત્રોને આ પરિસ્થિતિમાંથી મુક્ત કરવા ખેડૂતોનું સામૂહિકીકરણ કરી એક જાતનું સંગઠન ઉભું કરવામાં આવે છે. જેને ખેડૂત ઉત્પાદન સંગઠન(Farmer Product Organisation–એફ.પી.ઓ) કહે છે. જે ખેડૂતો દ્વારા સંચાલિત હોય છે અને ખેડૂતોના હક્કોનું રક્ષણ કરે છે. આ સંગઠન મારફતે સભ્ય ખેડૂતોને સુધારેલા બિયારણ, પિયત અને કીટનાશકો, ખેતીને લગતી અન્ય જરૂરિયાતો, કૃષિઉપજો ઉચિત સમયે બજારમાં વેચવા જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવે છે અને તેમની આવક વધારી સક્ષમ બનાવવામાં મદદરૂપ થાય છે.
એફ.પી.ઓ.એ બ્લોક-તાલુકા સ્તરે ખેડૂતો દ્વારા સંચાલિત એક કંપની છે, જેમાં ખેડૂતો સભ્ય થઈ શકે છે. આ એફ.પીઓ. ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર ઉપલબ્ધ કરાવવું, સરળતાથી લોન, ખેતીની નવી ટેક્નોલોજી, સિંચાઈ, ખેત પેદાશોનું માર્કેટિંગ તેમજ પ્રોસેસિંગ વગેરેમાં સહાયરૂપ બને છે. ખેડૂતો દ્વારા સભ્ય ફી પેટે જેટલી રકમ ભરવામાં આવે, સામે તેટલી જ રકમ સરકાર દ્વારા આપવામાં આવે છે. ઉપરાંત કંપનીને વહીવટી સંચાલન માટે પણ ગ્રાન્ટ આપવામાં આવે છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીની આ મુલાકાત દરમિયાન આત્મા પ્રોજેક્ટ ડાયરેકટર શ્રી ભરત પટેલ, પ્રાકૃતિક કૃષક શ્રી હમીરસિંહ પરમાર સહીત ખેડૂત ઉત્પાદક સંગઠનના હોદેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top