સરસ મેળો-૨૦૨૫: નાગલી અને અન્ય ધાન્ય પાક પરથી તૈયાર મૂલ્યવર્ધિત ઉત્પાદનોના વેચાણથી આત્મનિર્ભરતા તરફનું પગલુ
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ વિવિધ રાજ્યો અને ગુજરાતના ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા આયોજિત સરસ મેળામાં માંડવી તાલુકામાં કાર્યરત આદિવાસી મહિલાઓએ પોતાની કુશળતા અને સર્જનાત્મકતાનો પરિચય કરાવ્યો છે. સરકારના સહકાર અને ગ્રામ વિકાસ વિભાગ આયોજિત સરસ મેળાના પ્લેટફોર્મથી આ મહિલાઓએ નાગલી તેમજ અન્ય ધાન્ય પાકમાંથી મૂલ્યવર્ધિત ઉત્પાદનો તૈયાર કરી બજારમાં વેચાણ કરીને આર્થિક રીતે પગભર બનવાની દિશામાં આગેકૂચ કરી છે. ચોરાંબા ગામના મહાલક્ષ્મી સખીમંડળની સભ્ય અમિનાબેન ચૌધરીએ જણાવ્યું કે, ડાંગ જિલ્લો ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બની ગયો છેજેમાંથી પ્રેરણા લઈને માંડવીમાં પણ અમે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન મેળવીએ છીએ. માંડવીમાં મુખ્યત્વે નાગલી અને અડદનું ઉત્પાદન થાય છે.
આવી પ્રાકૃતિક ખેતી અને પરંપરાગત પાક પ્રણાલીનો લાભ લઈ અમારા ચોરાંબા ગામની ૧૪ મહિલાઓએ એક જૂથ બનાવી નાગલી, રાગી, અડદ, ઘઉં અને જુવારના લોટથી બિસ્ટિકટ અને પાપડ જેવા ઉત્પાદનો તૈયાર કર્યા છે. જેના વેચાણ દ્વારા અમને રૂ. ૨.૩૦ લાખ સુધીની આવક નોંધાઈ છે. વધુ બહેનોને જોડવા અને આર્થિક રીતે સશક્ત કરવા માટે રાધેશ્યામ સખી મંડળ પણ બનાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સરકાર દ્વારા આયોજિત આવા વિવિધ મેળાઓમાં ભાગ લઈ તેમની કલાત્મક વસ્તુઓનું બજારમાં પ્રચાર-પ્રસાર અને વેચાણ થતું હોવાથી અમે આત્મનિર્ભર અને સશક્ત બનવાની દિશામાં આગળ વધી રહ્યાં છે.
સરસ મેળો જેવા પ્લેટફોર્મ દ્વારા સ્થાનિક કારીગરો અને ખેડૂતોએ પોતાની ઉત્પાદકતા અને કુશળતાને વ્યાપક રૂપ આપીને સ્થાનિક આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું કે,સરકાર અને સમાજના સહકારથી આ પ્રકારના પ્રયત્નો ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને આત્મવિશ્વાસ અને સશક્તિકરણનો સંદેશ પહોંચાડે છે, જે દેશના સામાજિક-આર્થિક વિકાસ માટે અનિવાર્ય બનતાં દેખાય છે.