ગાંધીનગર ખાતે બાળ સાહિત્ય વિષય પર એક દિવસીય 'આંતરરાષ્ટ્રીય પરિસંવાદ' શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં યોજાયો

0
બાળકોને આજે ગોખણ પટ્ટી કરતા અનુભવ આધારિત શિક્ષણની તાતી જરૂરિયાત
 : શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા
આજે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ (ICSSR) અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે સાંસ્કૃતિક સમન્વય વૈશ્વિક પ્રવેશદ્વાર તરીકે 'બાળ સાહિત્ય'  વિષય પર એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.  

આ કોન્ફરન્સમાં ઈંગ્લેન્ડ,અમેરિકા, નેપાળ, પોલેન્ડ જેવા દેશોની યુનિવર્સિટીના પ્રોફેસરોએ વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને પોતાના દેશના કલ્ચર અને બાળ સાહિત્ય  શિક્ષણ અંગે ચર્ચા કરી
આ પ્રસંગે મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, શિક્ષણ માટેની જૂની પરંપરા આજના બાળકો ભૂલી ગયા છે, એનું મૂળ કારણ આજે વિભક્ત કુટુંબ છે, પહેલાના સમયમાં બાળકો પોતાના દાદા દાદી સાથે રહીને જે વાર્તા સાંભળતા હતા એનાથી એમણે ઘણું શીખવા અને જાણવા મળતું હતું, પરંતુ વિભક્ત કુટુંબ થવાના કારણે આજે બાળક મોબાઈલ સાથે વધારે સમય પસાર કરે છે જેની માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી રહી છે, જેના કારણે આજે નાની વયે બાળકોમાં આત્મહત્યાના કેસો જોવા મળે છે.      
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, ટેકનોલોજીનો ઉપયોગ સમય પ્રમાણે આપણે સૌએ કરવો જોઈએ, પણ એ ટેકનોલોજીના ભરોસે રહેવું એવો બાળક આપણે આપણી શાળામાં તૈયાર ન થાય એવું શિક્ષણ આપવું જોઈએ. શિક્ષકોએ બાળકોને આત્મિયતા રાખીને ભણાવવું જોઈએ, નાના બાળકોને અનુભવ આધારિત શિક્ષણ આપવું જોઈએ,  કોઈ પણ શિક્ષકે નાના બાળકોને ગોખણપટ્ટી આધારિત શિક્ષા આપવી ન જોઈએ.મંત્રી શ્રી પાનશેરીયાએ વધુમાં રામાયણ અને મહાભારતના કેટલાક અંશો શિક્ષકો સામે રજૂ કર્યા અને પહેલાના સમયની શિક્ષા પદ્ધતિ અને હાલના સમયની શિક્ષા પદ્ધતિ કઈ રીતે જૂદી પડે છે તેમજ આવનારા સમયમાં બાળકોને કઈ રીતે ભણાવી એક મજબૂત રાષ્ટ્રનિર્માણ કરી શકીએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
મંત્રી શ્રી  પાનશેરીયાના હસ્તે NEP ૨૦૨૦ના અમલમાં  સહાયક ૧૧ બાળકેન્દ્રી પુસ્તકો, શિશુ સંગોપન તેમજ  પ્લે - પ્રેક્ટિસ - પરસ્યુ પુસ્તકોનું વિમોચન કરાયું
એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદ કાર્યક્રમમાં અમેરિકાની કેમ્બ્રિજ યુનિવર્સિટીના અધ્યાપક  પ્રો. કેરેન કોટ્સે ‘અમેરિકન બાળસાહિત્યમાં અગ્રણી કથાનકો’ વિષય પર, લંડન ઓર્ગેનાઈઝેશન ઓફ સ્કીલ્સ ડેવલપમેન્ટના સી.ઈ.ઓ  પ્રો. પરીન સોમાણીએ ‘બ્રિટિશ બાળસાહિત્ય’ પર, મરાઠી બાળસાહિત્યકાર શ્રી એકનાથ આહ્વાડેએ ‘ભારતીય બાળસાહિત્ય’, પોલેન્ડની ઓપોલ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીના અધ્યાપક ડૉ. ફિલિપ રુસિન્સ્કીએ ‘પોલિશ બાળસાહિત્ય’ તથા નેપાળની ત્રિભુવન યુનિવર્સિટીના અધ્યાપક ડૉ. કુસુમાકર નિયોપાને ‘નેપાળી બાળસાહિત્ય’ વિષય ઉપર વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી વક્તવ્ય આપ્યું હતું.
આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદનો મુખ્ય ઉદ્દેશ્ય સર્વાંગી બાળવિકાસમાં બાળસાહિત્યની ભૂમિકા વિશે ચર્ચાને મંચ પૂરો પાડવાનો છે. આ ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ યુનિવર્સિટીઓ વચ્ચે સંશોધન આધારિત શૈક્ષણિક સહયોગ વધારવાનો છે. આ પરિસંવાદમાં દેશ-વિદેશના તજજ્ઞો, સંશોધકો દ્વારા બાળસાહિત્યને લગતા વિવિધ વિષયો ઉપર રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યા હતા.
 અત્રે ઉલ્લેખનીય છે કે, આ પરિસંવાદ કાર્યક્રમમાં ૧૫૦થી વધારે સંશોધકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે જન્મના ત્રણ વર્ષ સુધીના શિશુ માવજત અંગેના પુસ્તક શિશુ સંગોપન તેમજ શ્રી સ્વરૂપ સંપત રાવલ દ્વારા લિખિત પ્લે - પ્રેક્ટિસ - પરસ્યુ  અને NEP ૨૦૨૦ના અમલમાં સહાયક ૧૧ બાળકેન્દ્રી પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી.એસ. જોશી, આઈ.આઈ.ટી.ઈ ગાંધીનગરના કુલપતિ શ્રી આર.સી.પટેલ,સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના કુલપતિ શ્રી રમાશંકર દુબે,  શિક્ષણવિદ્ ડૉ.સ્વરૂપ સંપત રાવલ, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના સંશોધન કેન્દ્રના નિયામક શ્રી સંજય ગુપ્તા, મોટી સંખ્યામાં અધિકારીશ્રીઓ તેમજ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.(પ્રિન્સ ચાવલા)
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top