પરીક્ષા સ્થળની આસપાસના ઝેરોક્ષ સેન્ટર બંધ રાખવાના રહેશે:જિલ્લામાં એચ.એસ.સી. પરીક્ષા માટે ૪૧, એસ.એસ.સી. પરીક્ષા માટે ૭૬, એસ.એસ.સી.(વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષા માટે ૦૭ જેટલા પરીક્ષા કેન્દ્રો
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા આગામી તા.૨૭.૦૨.૨૦૨૫ થી તા.૧૭.૦૩.૨૦૨૫ સુધી યોજનાર છે. આથી પરીક્ષાના સુચારૂ આયોજનરૂપે પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષા સ્થળની આસપાસના ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા તેમજ અન્ય પ્રતિબંધાત્મક હુકમો અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામાં અનુસાર, પરીક્ષા સ્થળની આસપાસની ઝેરોક્ષની દુકાનો ફરજિયાત બંધ રાખવાની રહેશે. પરીક્ષા કેન્દ્રમાં સેલ્યુલર/મોબાઈલ/ઈલેકટ્રોનિક ગેઝેટસ જેવા તમામ ઈલેકટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવા તથા લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે તથા કેલ્ક્યુલેટર પરીક્ષા કેન્દ્રમાં ઉપયોગ કરવા કે લઈ જવા અંગે GSHSEB બોર્ડની અધ્યતન સૂચનાઓ અનુસાર પાલન કરવાનું રહેશે.
પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્રની આજુબાજુમાં ૪(ચાર) કે તેથી વધુ વ્યક્તિઓએ ઉભા રહેવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પરીક્ષાના દિવસે વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે પરીક્ષાના દિવસે સવારે ૦૯:૦૦ થી ૧૪:૩૦ કલાક દરમિયાન ખોદકામ કરવા ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ જાહેરનામાંનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. જો કોઈ આ હુકમનો ભંગ કરશે અથવા ભંગ કરાવવામાં મદદગારી કરશે તો ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં એચ.એસ.સી. પરીક્ષા માટે ધ્રાંગધ્રા, માલવણ, લીંબડી, ચુડા, સુરેન્દ્રનગર, લખતર, વઢવાણ, થાનગઢ, પાટડી, ચોટીલા, મુળી, સાયલા ખાતે ૪૧ જેટલા પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. એસ.એસ.સી. પરીક્ષા માટે ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, પાટડી, થાનગઢ, લખતર, ચોટીલા, માલવણ, રાજસીતાપુર, ઝીંઝુવાડા, સોલડી, લીંબડી, વઢવાણ, વણા, મુળી, સાયલા, ચુડા, સરા, ખોલડીયાદ, ધજાળા, શિયાણી ખાતે ૭૬ જેટલા પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. એસ.એસ.સી.(વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષામાં ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર ખાતે ૦૭ જેટલા જેટલા પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.