મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વડપણની સરકારે આ ૯ મહાનગરપાલિકાની રચનાને મંજૂરી આપીને મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી કાર્યરત કરી છે.
રાજ્ય મંત્રીમંડળની બેઠકના આ નિર્ણયની ભૂમિકા આપતાં પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @ ૨૦૪૭ના દૂરંદેશી સ્વપ્નને સાકાર કરવા ‘અર્નિંગ વેલ’ અને ‘લિવિંગ વેલ’ના ધ્યેય પાર પાડીને વિકસિત ગુજરાત @ ૨૦૪૭ના વિઝનને સાર્થક કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રતિબદ્ધ છે.
આ સંદર્ભમાં આ ૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો મળતાં હવે રાજ્યમાં મહાનગરપાલિકાઓની સંખ્યા ૧૭ અને નગરપાલિકાઓની સંખ્યા ૧૪૯ થશે. ત્યારે આ તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનરની નિમણુંક કરાઈ છે.
જેમા મોરબી મ્યુનિસિપલ કમિશનર તરીકે સ્વપ્નિલ ખરે, આણંદ મ્યુનિસિપલ કમિશનર તરીકે મિલિન્દ બાપના, નડિયાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે મિરાંત પરીખ, વાપી મ્યુનિસિપલ કમિશનર તરીકે યોગશ ચૌધરી, મહેસાણા મ્યુનિસિપલ કમિશનર તરીકે રવિન્દ્ર ખટાલે, સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કમિશનર તરીકે જી.એચ.સોલંકી, નવસારી મ્યુનિસિપલ કમિશનર તરીકે દેવ ચૌધરી, પોરબંદર મ્યુનિસિપલ કમિશનર તરીકે એચ.જે.પ્રજાપતિ અને ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર તરીકે એમ.પી.પંડ્યાની નિયુક્તિ કરવામાં આવી.