સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટર શ્રી કે. સી. સંપટનાં અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લા રોગી કલ્યાણ સમિતિની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં રોગી કલ્યાણ સમિતિના ફંડ, પ્રી - ઓડિટ ખર્ચ, ઈમ્યુનોએસે એનાલાયઝર તથા ફુલ્લી ઓટોમેટીક બાયો કેમેસ્ટ્રી એનાલાયઝર જેવા સાધનોની લેબોરેટરી માટે ખરીદી, લેબોરેટરી ખાતેથી પ્રિન્ટેડ રિપોર્ટ આપી શકાય તે માટે સોફ્ટવેરની ખરીદી તથા સાધનોની ઇન્ટરફેસિંગની કામગીરીની મંજૂરી આપવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. ન્યુરોસર્જનની મંજૂરી તેમજ સિલિકોસીસના દર્દીઓ માટે પલ્મોનોલોજીસ્ટ, સિલિકોસીસના દર્દીઓને એચઆરસીટી/સીટી સ્કેન માટે ફ્રી વ્યવસ્થા, પ્રધાનમંત્રી જનઆરોગ્યના કેસો, એન્ટી રેબિસ સિરમનો પૂરતો જથ્થો, ઓપીડી, કેમ્પસ સ્વછતા તેમજ વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરી અને વિગતો તેમજ મશીનરી બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.આ તકે કલેકટરશ્રીએ તમામ બાબતોની જાણકારી મેળવી સંબધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. આ તકે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતરિત થવાથી મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીને રોગી કલ્યાણ સમિતિના સભ્ય બનાવાયા હતા. આ બેઠકમાં નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ. કે. કટારા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. બી.જી. ગોહિલ, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી શ્રી ડો. ચૈતન્ય પરમાર, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રતિનિધિ શ્રી ડો. રાકેશ પટેલ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી કલ્પેશ સંઘવી સહિત જિલ્લા રોગી કલ્યાણ સમિતિના સભ્યશ્રીઓ તથા સબંધિત અધિકારીઓ, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા
૦૦૦૦૦