ઓછામાં ઓછું એક માસનું બેકઅપ રહે તેવા ડી.વી.આર. સાથે લગાવવાના રહેશે
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી, લૂંટફાટ જેવા બનાવો અટકાવવા માટે સી.સી.ટી.વી. કેમેરા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કે.સી.સંપટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામાં મુજબ, જિલ્લા/શહેરમાં આવેલ તમામ ઢાબા, ટી સ્ટોલ, ખાણી- પીણીના સ્થળો, આંગડીયા પેઢી, મનોરંજનના તમામ સ્થળો ખાતે હાઈ ડેફિનેશન તથા નાઈટ વિઝનવાળા સી.સી.ટી.વી કેમેરા લગાવવાનાં રહેશે. જેમાં ઓછામાં ઓછું એક માસનું બેકઅપ રહે તેવા ડી.વી.આર. સાથે લગાવવાના રહેશે. હોટેલ, રેસ્ટોરન્ટો, પેટ્રોલ પંપ, ટોલપ્લાઝા, શોપીંગ મોલ/કોમ્પલેક્ષ, હોસ્પિટલ, રેસ્ટહાઉસ, સોનીની દુકાનો, બેંકો, આંગડીયા પેઢી, ઢાબા, ટી-સ્ટોલ, ખાણી- પીણીના સ્થળો, ધર્મશાળાઓ/મુસાફિરખાના, મનોરંજનના તમામ સ્થળો ખાતે અંદર તથા બહાર બંને પ્રિમાઈસીસ સંપૂર્ણ કવર થાય તે મુજબ સી.સી.ટી.વી. કેમેરા લગાવવાના રહેશે.
ઉપરોક્ત સ્થળો ખાતે રાખવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરા પૈકી એક સી.સી.ટી.વી. કેમેરો રોડ/રસ્તાની મુવમેન્ટ તથા એન્ટ્રી/એક્ઝિટની જગ્યા સંપૂર્ણપણે આવરી લેવાય તે રીતે લગાવવા મુજબની વ્યવસ્થા કરવા ફરમાવવામાં આવ્યું છે. આ જાહેરનામું સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૩૧/૦૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે તથા તા.૦૯/૧૨/૨૦૨૩ના રોજ ઉક્ત બાબતે બહાર પાડવામાં આવેલ જાહેરનામાની બાકીની શરતો યથાવત રહેશે.આ જાહેરનામાંનાં ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ હેઠળ દંડ અને શિક્ષા કરવામાં આવશે.(માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર)