"રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ" નિમિતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે આયોજિત રાજ્યકક્ષાની ઉજવણી કાર્યક્રમમાં કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા જન જાગૃતિ અર્થે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્યના અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા તથા ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ આ પ્રદર્શન રસપૂર્વક નિહાળ્યું હતું.
આ પ્રદર્શનમાં વિવિધ પ્રકારનાં તોલ માપ, વજન કાંટા, આદર્શ માપ જુદાજુદા તોલમાપ વજન દ્વારા થતી છેતરપિંડીથી કઈ રીતે કાળજી રાખવી?, કઈ રીતે ફરિયાદ કરી શકાય, ગ્રાહકોના હકો, અધિકારો, ગ્રાહક હેલ્પલાઇન નંબર સહિતની ગ્રાહકોને જાણવા માટે જરૂરી તમામ માહિતી પ્રદર્શન દ્વારા લોકો નિહાળી જાગૃત થઈ શકે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.
રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યની દરકાર લઈ જિલ્લામાં કાર્યરત મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન પણ અત્રે પ્રદર્શિત કરવામાં આવી હતી. નાગરીકોને અશુદ્ધ અને ભેળસેળ વાળો ખાદ્ય પદાર્થ ન લેવો પડે તે માટે આ મોબાઈલ વાન દ્વારા નાગરીકો સામેથી ટેસ્ટિંગ માટે ખાદ્ય પદાર્થ લઈને આવે તો તેનું વિનામુલ્યે ટેસ્ટિંગ કરી આપવામાં આવે છે. જો નમુનો ભેળસેળયુક્ત પુરવાર થાય તો કાયદાકીય રીતે કડક પગલા પણ લેવામાં આવે છે. આ ફુડ ટેસ્ટિંગ વાનમાં અદ્યતન ટેક્નોલોજી ધરાવતા કોમ્પ્યુટરાઈઝડ સાધનો દ્વારા ખાદ્યચીજોની ચકાસણી કરવામાં આવે છે.