”લાખોનાં ખર્ચે થતું ઓપરેશન આયુષ્માન કાર્ડની મદદથી મારે મફત થયું છે. આ માટે હું સરકારનો ખુબ ખુબ આભાર માનું છું.” - લાભાર્થી સેજલબેન ભરવાડ
“સ્વસ્થ નાગરિક એ જ સ્વસ્થ પરિવાર, સ્વસ્થ સમાજ અને સ્વસ્થ રાષ્ટ્રનો આધાર છે.” આથી દેશનાં નાગરિકોની આરોગ્ય સંપદાને સુરક્ષિત અને સુદ્રઢ બનાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને આરોગ્ય વિષયક જરૂરી તમામ સવલતો પૂરી પાડવામાં આવી રહી છે. સરકારના સતત માર્ગદર્શન અને નવીન ટેકનોલોજીના કારણે આજે લાખો નાગરીકોને મોંઘી અને જટીલ સારવાર રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે અને સરળતાથી મળી રહી છે.
ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં દિશા – નિર્દેશ હેઠળ રાજ્યના પ્રજાજનોને આરોગ્યની ઉત્તમ સગવડો અને સારવાર મળી રહે તે માટે સચોટ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં મહારાષ્ટ્રની એક પરિણીતાનાં હૃદયનાં વાલ્વનું ખાનગી હોસ્પિટલમાં વિનામૂલ્યે સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. દેશભરમાં ૩૬ કરોડ થી વધુ, ગુજરાતમાં ૨૬૬.૩ લાખ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ૭.૫૭ લાખ થી વધુ આયુષ્માન કાર્ડ થકી નાગરિકોને પ્રદાન થયું આરોગ્ય કવચ
હાલ મહારાષ્ટ્રનાં રહેવાસી એવા સેજલબેન ભરવાડને હૃદયનાં વાલ્વની બીમારી હતી. ઘણી બધી હોસ્પિટલમાં તપાસ કરી પણ ઓપરેશન શક્ય ન બન્યું. આખરે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી સી.યુ.શાહ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે સારવાર મેળવી ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું.સેજલબેનનાં સસરા મેરાભાઈ ભરવાડ જણાવે છે કે, “અમે મહારાષ્ટ્રમાં રહી માલધારીનો વ્યવસાય કરીએ છીએ. મહારાષ્ટ્ર, ભાવનગરમાં પણ ઘણા બધા ડોકટરોને બતાવ્યું પણ ઓપરેશન થઈ શક્યું નહિ. અમે સુરેન્દ્રનગર આવ્યા અને સી.યુ.શાહ મેડીકલ કોલેજ અને હોસ્પિટલમાં બતાવ્યું. ત્યાંના ડોકટરે અમને હૈયાધારણા આપી અને ઓપરેશન સરળતાથી વિનામૂલ્યે થઈ જશે તેવું કહેતા અમને રાહત મળી હતી. એક મહિનામાં ઓપરેશન પણ થઈ ગયું. હાલ અમારા પુત્રવધુની તબિયત સારી છે. સરકાર અને આયુષ્માન કાર્ડની મદદથી એક પણ રૂપિયાનો ખર્ચ ઓપરેશનમાં થયો નથી. અમને ખુબ જ સારી સારવાર અને સગવડ મળી છે. આ માટે હું અને મારો પરિવાર ગુજરાત સરકારનાં ખુબ ખુબ આભારી છીએ.” સેજલબેને સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “મને ખુબ સારી સારવાર મળી છે. હોસ્પિટલનાં સ્ટાફ પણ સારી દરકાર લે છે. લાખોનાં ખર્ચે થતું ઓપરેશન આયુષ્માન કાર્ડની મદદથી મારે મફત થયું છે. આ માટે હું સરકારનો ખુબ ખુબ આભાર માનું છું.”
અત્રે ઉલ્લેખનીય છે કે, આયુષ્માન કાર્ડધારક નાગરિકો દેશમાં કોઈપણ રાજ્યમાં જઈ કાર્ડ સાથે સંલગ્ન સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં નિયત સારવાર વિનામૂલ્ય મેળવી શકે છે.
આયુષ્માન ભારત પીએમ-જેએવાય હેઠળ આયુષ્માન કાર્ડ નિર્માણએ સૌથી મૂળભૂત પ્રવૃત્તિ છે અને આ યોજના હેઠળ દરેક લાભાર્થીને આયુષ્માન કાર્ડ મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી - જન આરોગ્ય યોજના (એબી પીએમ-જેએવાય) હેઠળ દેશભરમાં ૩૬ કરોડ થી વધુ, ગુજરાતમાં ૨૬૬.૩ લાખ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ૭.૫૭ લાખ થી વધુ આયુષ્માન કાર્ડ થકી નાગરિકોને આરોગ્ય કવચ પ્રદાન કરવામાં આવ્યું છે.
ભારત સરકારની આરોગ્ય યોજનાઓની સંતૃપ્તિ સુનિશ્ચિત કરવાના હેતુથી શરૂ કરવામાં આવેલી આયુષ્માન ભવ અભિયાન હેઠળની આ એક મુખ્ય પ્રવૃત્તિ છે. આયુષ્માન કાર્ડમાં સમાવિષ્ટ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીનારાયણને તદન મફત અને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. સરકાર દ્વારા આરોગ્ય સુખાકારી માટે બહુમુલ્ય કાર્ય કરવામાં આવી રહ્યુ છે, જે સરાહનીય છે.
દેશનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનાં નાગરીકોનાં આરોગ્ય સુખાકારીની દરકાર લઈને “આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના” દેશભરમાં અમલી બનાવી છે. આયુષ્માન ભારત અંતર્ગત દેશવાસીઓને આરોગ્ય કવચ પૂરું પાડતી “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY)” એ વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે. જેનો ઉદ્દેશ્ય ગરીબ અને નબળા પરિવારોને પ્રતિ વર્ષ ૦૫ લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો પ્રદાન કરવાનો છે.