સુરેન્દ્રનગર જિલ્લામાં અનુકુળતા અનુસાર વિવિધ પાકોનું વાવેતર કાર્ય પૂર્ણ થયું છે. જિલ્લામાં મગફળીનું વાવેતર થયું હોય તેવા વિસ્તારોમાં ખેડૂતોને સંકલિત જીવાત નિયંત્રણ અંગે માહિતગાર કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી તરફથી નીચે મુજબના ઉપાયો સૂચવવામાં આવ્યા છે.
ચૂસિયા જીવાતો તેમજ લીલી તથા પાન ખાનાર ઇયળ નિયંત્રણ માટે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ ટકા અર્ક) અથવા લીંબોળીનું તેલ ૩૦-૪૦ મિ.લિ. અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. થી ૪૦ મિ.લિ. અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લી. પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
મોલો મશી, તતડીયા, થ્રીપ્સ, સફેદ માખી જેવી ચૂસિયા જીવાતોના રાસાયણિક નિયંત્રણ માટે ડાયમીથોએટ ૩૦ ઇ.સી. ૧૦ મિ.લિ. અથવા ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસ.એલ. ૩ મિ.લિ. અથવા થાયામિથોક્ઝામ ૨૫ ડબલ્યુ.એસ.૩ ગ્રામ અથવા એસીટામીપ્રિડ ૨૦ એસ.પી. ૨ થી ૩ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ હોય ત્યારે જરૂર જણાય તો ૧૦ થી ૧૨ દિવસ બાદ બીજો છંટકાવ કરવો.
થ્રીપ્સ અને સફેદ માખીનો ઉપદ્રવ જણાય તો પ્રોફેનોફોલ ૪૦ ટકા + સાયપરમેથ્રીન ૪ ટકા ૧૦ મિ.લિ. અથવા ડાયફેંથીયુરોન ૫૦ વે.પા.૧૦ ગ્રામ અથવા સ્પીનોસાડ ૪૫ એસ.પી. ૩ મિ.લિ. અથવા થાયમીથોક્ઝામ + લેમ્ડા સાયહેલોથ્રિન ૨૨ ઝેડ.સી. ૨૫ મિ.લિ. અથવા ડિનોટેફ્યુરાન ૨૦ એસજી ૩ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જરૂર જણાય તો ૧૦ થી ૧૨ દિવસ બાદ બીજો છંટકાવ કરવો.
પાન કથીરીના નિયંત્રણ માટે પ્રોપરગાઇટ ૫૭ ઇસી ૧૦ મિ.લિ. અથવા ફેનાઝાક્વીન ૧૦ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
લીલી ઇયળ તથા પાન ખાનાર ઇયળ (સ્પોડોપ્ટેરા) નિયંત્રણ માટે હેક્ટકર દીઠ ૫-૬ ફેરોમોન ટ્રેપ ગોઠવી તેમાં પકડાતા નર ફુદાંનો નાશ કરવો જેથી ફુદાં દ્વારા મુકાતા ઈંડામાંથી ઇયળો ઓછી પેદા થાય. લીલી તથા પાન ખાનાર ઈયળના જૈવિક નિયંત્રણ માટે બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાવડર ૧૦ ગ્રામ અથવા આ જીવાતનું ન્યુક્લિયર પોલીહેડ્રોસીસ વાયરસ ૧૦ મિ.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
ઇયળોનો ઉપદ્રવ વધુ જણાય ત્યારે ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા ક્વીનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા ઈન્ડોકઝાકાર્બ ૧૪.૫ એસ.એલ. ૧૦ મિ.લી અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૪૮ એસ.સી. ૩ મિ.લી. અથવા સ્પીનોસાડ ૪૫ એસ.એલ. ૩ મિ.લી. અથવા નોવલ્યુરોન ૧૦ ઇ.સી. ૨૦ મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૨૦ એસ.સી. ૩ મિ.લી. અથવા થાયમીથોકઝામ + લેમડા સાયહેલોથ્રીન ૨૨ ઝેડ.સી. ૨૫ મિ.લી. અથવા નોવાલ્યુરોન + ઈન્ડોકઝાકાર્બ ૯.૭૫ એસ.સી ૧૮ મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ + લેમડા સાયહેલોથ્રીન ૧૫ ઝેડ.સી. ૪ મિ.લી. અથવા નોવાલ્યુરોન + એમામેકટીનબેન્ઝોએટ ૬.૧૫ એસ.સી ૧૫ મિ.લી. ૧૦ લીટર પામીમાં ભેળવી છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૦ થી ૧૨ દિવસ પછી કોઈપણ એક દવાનો બીજો છંટકાવ કરવો.
વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલા લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવ્યું છે. આ અંગે વધુ વિગતો આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(વિસ્તરણ), નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરવા વધુમાં યાદીમાં જણાવ્યું છે.