સુરેન્દ્રનગર નાયબ પોલીસ મહાનિરીક્ષક ડો. ગીરીશ પંડ્યા સાહેબ (IPS) ની કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં બોગસ ડોકટરોને પકડી પાડવા અને ગુનાહિત પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, સુરેન્દ્રનગર એસ.ઓ.જી. સ્ટાફે ધ્રાંગધ્રા તાલુકાના એંજાર ગામમાંથી કોઈપણ પ્રકારની તબીબી ડિગ્રી કે પ્રમાણપત્ર વગર તબીબી પ્રેક્ટિસ કરતા એક નકલી ડોક્ટરને ઝડપી પાડી, માનવ આરોગ્ય સાથે ચેડા કરતો યુવક જેલભેગો કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એસ.ઓ.જી. સ્ટાફના ASI અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ ઝાલાને બાતમી મળી હતી કે, ધ્રાંગધ્રા તાલુકાના એંજાર ગામનો તુષારભાઈ સંજયભાઈ સરદાર (ઉ.વ. ૨૮, મૂળ રહે. રુદપુર, જિ. ઉધમસિંહ નગર, ઉત્તરાખંડ) નામનો યુવક પોતે કોઈ પણ પ્રકારનું તબીબી સારવાર અંગેનું સર્ટીફિકેટ ધરાવતો ન હોવા છતાં સામાન્ય લોકોના માનવ આરોગ્ય સાથે ચેડા કરી, તબીબી પ્રેક્ટિસ કરી રહ્યો છે.
આ બાતમીના આધારે, એસ.ઓ.જી. સુરેન્દ્રનગર સ્ટાફે મેડીકલ ઓફીસર, પી.એચ.સી. કુડાનાઓને સાથે રાખી એંજાર ગામે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન આરોપી તુષારભાઈ સંજયભાઈ સરદાર (ક્ષત્રિય રાજપુત) તબીબી પ્રેક્ટિસ કરતા મળી આવ્યો હતો. તેના કબજામાંથી અલગ અલગ કંપનીની રૂ. ૬,૧૯૦.૯૮ ની કિંમતની એલોપેથીક દવાઓ અને અન્ય મુદામાલ મળી આવ્યો હતો.
એસ.ઓ.જી. દ્વારા આ નકલી ડોક્ટર વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મેડીકલ પ્રેકટીશનર એક્ટ કલમ-૩૦ મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરીમાં PI બી.એચ. શીંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહિલ, ASI અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ ઝાલા, HC અરવિંદસિંહ દિલુભા, HC ચેહરભાઇ અમરશીભાઇ ઝીઝુવાડીયા, PC બલભદ્રસિંહ નરેન્દ્રસિંહ ઝાલા સહિતના પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ રોકાયેલા હતા. આ કડક કાર્યવાહીથી બોગસ ડોકટરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.