ગાંધીનગર ટાઉનહોલ ખાતે ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ

0
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભરવાડ સમાજના ૫૦ જેટલા યુવાનોને પગભર બનાવવા જે.સી.બી.નું વિતરણ કરાયું- યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે સરકારના પ્રયાસોમાં સમાજનો સહયોગ મળે તો વિકાસની ગતિ બમણી થઈ જાય છેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા ગાંધીનગરના ટાઉનહોલ ખાતે આયોજિત ૫૦ જે.સી.બી.ના વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભરવાડ સમાજના ૫૦ જેટલા આર્થિક રીતે જરૂરિયાતમંદ યુવાનોને પગભર બનાવવા એક પણ રૂપિયાના ડાઉન પેમેન્ટ વગર જે.સી.બી.નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સંગઠનના આ કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી હરહંમેશ કહે છે કે, યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે સરકારના પ્રયાસોમાં સમાજનો સહયોગ મળે તો વિકાસની ગતિ બમણી થઈ જાય છે.
મુખ્યમંત્રીશ્રીએ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, સમાજ-જીવન માટે ખૂબ ઉપયોગી ઘણા સંકલ્પો વડાપ્રધાનશ્રીએ આપ્યા છે. આપણે પણ જે કોઈ કાર્ય કરીએ તેમાં પર્યાવરણને પ્રાધાન્ય આપવું જરૂરી છે. આપણા ધંધા-રોજગારમાં અને જીવનશૈલીમાં પર્યાવરણનો વિચાર કરીશું તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાકાર થશે. દરેક ગામ દરેક સમાજ જ્યારે આગળ આવશે ત્યારે જ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનશે. આપણને જે પણ કુદરતી સંપદા આપણા વડીલો પાસેથી મળેલી છે એ સંપદાને આપણે નવી પેઢીને કેવી રીતે આપી શકીએ તેના માટેનો વડાપ્રધાનશ્રી હર હંમેશ પ્રયત્ન કર્યો છે. પાણીનો દુરુપયોગ ન થાય, પાણીને કેવી રીતે જમીનમાં ઉતારી તેનો સંચય કરી શકાય એના માટે વિચારવું જોઈએ એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ભારપૂર્વક કહ્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ પ્લાસ્ટિક મુક્ત ગુજરાતથી પ્લાસ્ટિક મુક્ત ભારતના વિચાર સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ રોજિંદી જીવનશૈલીમાંથી કેવી રીતે બંધ કરી શકાય તે માટે પ્રયત્ન કરવા પણ અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટેના ઉપાયના ભાગરૂપે વડાપ્રધાનશ્રીએ ગયા વર્ષે શરૂ કરેલું 'એક પેડ માં કે નામ' અભિયાન જન આંદોલન બની ગયું છે. રાજ્યભરમાં ગયા વર્ષે 'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત ૧૭ કરોડ ૫૦ લાખથી વધુ વૃક્ષો વાવી ગુજરાતે સમગ્ર દેશમાં બીજા નંબરનું ગૌરવ સ્થાન પ્રાપ્ત કર્યું છે તેનો પણ મુખ્યમંત્રીશ્રીએ ગૌરવપૂર્વક ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વ પ્રયાવરણ દિવસ-2025થી ‘એક પેડ માં કે નામ 2.O’ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત વધુને વધુ વૃક્ષો વાવીને ગ્રીન કવર વધારવા સૌને અપીલ કરી હતી.
"ધંધા રોજગારની સાથે પર્યાવરણનો વિચાર કરવો એ હવેના સમયની માંગ છે"-• 'એક પેડ માં કે નામ' થકી આખા દેશમાં ૧૭ કરોડ ૫૦ લાખથી વધુ વૃક્ષો વાવી ગુજરાતે બીજા નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું છે તે રાજ્ય માટે ગર્વની વાત
વડાપ્રધાનશ્રીએ “ગ્યાન” શક્તિ એટલે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વિકસિત ભારતના ચાર સ્તંભ ગણાવ્યા છે તેના પર વિશેષ ભાર મૂકીને વિકસિત ગુજરાત માટે આગળ વધવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. આ અવસરે મહંતશ્રી રામબાપુ, મહંતશ્રી ઘનશ્યામપૂરી બાપુ, લઘુ મહંતશ્રી નામદેવ ભગત, મહંતશ્રી કેહુ ભગત, મહંતશ્રી નારણદાસ બાપુએ સૌને આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્યશ્રી ભવાનભાઈ ભરવાડ, લાખાભાઈ ભરવાડ સહિત ભરવાડ સમાજના અગ્રણીઓ તેમજ જિલ્લા પ્રમુખ અનિલ પટેલ તથા આશિષ ભટ્ટ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.(PM BY અન્ય ગાંધીનગર એચ.ઓ)
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top