ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલાનો સહારો બનતી ૧૮૧ અભયમ ટીમ

0
અભયમ ટીમના પ્રયાસો દ્વારા આત્મહત્યા કરવા જતી મહિલાના જીવનમાં ફેલાયો અજવાસ
ઘરેલું હિંસાનો શિકાર બનેલી એક પરિણીત મહિલા આત્મહત્યાના વિચાર સાથે ઘરેથી હારી કંટાળીને નીકળી ગઈ. જિંદગીથી હારી થાકેલી આ પરિણીતા રસ્તાના એક ખૂણામાં બેસી રહી. ક્યાં જવું? શું કરવું? તે સૂઝયું નહી. કોની પાસે મદદ લેવી તે સમજાતું ન હતું. આ મુશ્કેલીના સમયમાં તેને એક જ નંબર યાદ આવ્યો, '૧૮૧'.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ધોળીપોળ વિસ્તારમાં એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી હતી. મૂંઝાયેલી મહિલાએ ૧૮૧ માં કોલ કરતાંની ગણતરીની ક્ષણોમાં જ કાઉન્સેલર શ્રી પાયલબેન પ્રજાપતિ અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મહિલાને સાંત્વના આપી હતી. પરિણીતાનું કાઉન્સિલીંગ થતાં જાણવા મળ્યું કે, તેમના લગ્ન ૭ વર્ષ પૂર્વે થયા હતા. હાલ તેમને પાંચ વર્ષની એક દીકરી છે. તેમનું લગ્નજીવન શરૂઆતમાં ખૂબ સારું ચાલતું હતું, પરંતુ થોડા સમય પછી પતિ પત્ની વચ્ચે નાના મોટા ઝઘડાઓ શરૂ થયા. સાસુ-સસરા મેણા- ટોળા માર્યા કરે, સાસુ વધારે પ્રમાણમાં હેરાન પરેશાન કરતા. શારીરિક માનસિક ટોર્ચર કરતા રહે. પીડિતાના પતિ સાંજે ઘરે આવે ત્યારે નાની-નાની વાતમાં ઝઘડો કરી મારકૂટ કરવા લાગે. 
પરેશાની વધી જતાં પીડિતાએ તેમના માતા પિતાને જાણ કરી. માતા પિતાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી બધું સહન કરીને પણ, પોતાની દીકરીના ભવિષ્યની ચિંતાએ તેમને ઘરે પાછા ફરવા મજબૂર કર્યા. પરિસ્થિતિ વધુ વણસી અને પીડિતા પિયર રહેવા જતા રહ્યા, છૂટાછેડા થયા.
અહીં વાત પૂરી ન થઈ. થોડો સમય જતા પીડિતાના પતિ ફરી પિયર આવ્યા. પીડિતા સાથે વાતચીત વધતી ગઈ. ધીમે ધીમે ફોનમાં વાતચીત ચાલુ થઈ અને પીડિતાના પતિએ દીકરી માટે ફરીથી લગ્ન કરી લેવા પ્રસ્તાવ મૂક્યો. પરિવાર સાથે પરામર્શ કરી થોડા દિવસમાં લગ્ન કરી લેવાની શરતે પીડિતાને સાસરે પરત લઈ ગયા. પરંતું બે વર્ષનો સમય વીતવા છતાં લગ્ન ન કર્યા. પીડિતાને હાલ ચાર માસનો ગર્ભ હોવા છતાં તેના પતિ પેટ ઉપર લાત મારતા, પટા દ્વારા જેમ તેમ મારતા હતા.
પીડિતાએ અંતે નિરાશ અને હતાશ થઈને આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો અને ઘર છોડી દીધું. કાઉન્સેલર શ્રી પાયલબેન પ્રજાપતિ દ્વારા પીડિતાને હાલ એક સંતાન હોવાથી કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ કાઉન્સેલરની સમજાવટથી હાલ તેમની સુરક્ષા અને સંભાળની ખાતરી સાથે સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો છે. 
આમ, અભયમ ટીમના પ્રયાસો દ્વારા આત્મહત્યા કરવા જતી મહિલાના જીવનમાં અજવાસ ફેલાયો છે.
ઉલ્લેખનીય છે કે, મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં, તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે રાજ્યવ્યાપી “૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન” ૨૪x૭ મહિલાઓની સલામતી અને સુરક્ષાની કામગીરીમાં કાર્યાન્વિત છે. જે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પુરું પાડે છે. 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top