મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શાળા પ્રવેશોત્સવ અંગે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સર્વે જિલ્લાના અધિકારી-કર્મચારીઓને આપ્યું માર્ગદર્શન
સમગ્ર રાજ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તા.૨૬ જૂનથી તા.૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવશે. જે અંતર્ગત આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તમામ જિલ્લાના અધિકારીશ્રીઓ/ પદાધિકારીશ્રીઓ સાથે શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ સંદર્ભે બ્રિફિંગ મીટીંગ યોજાઈ હતી. આ શ્રેણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ મહાનગરપાલિકા કચેરી સભાખંડ ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી બન્યા હતા.
તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધી થયેલી કામગીરી અને પ્રવેશોત્સવ સહિતની પહેલોના કારણે શિક્ષણના સ્તરમાં આવેલા સુધારાઓ અંગે વાત કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ સંદર્ભે માર્ગદર્શન સૂચના આપ્યા હતા.
જિલ્લા કલેકટર ડો.રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના આયોજન અંગે બેઠક યોજાઈ
આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ની બ્રીફિંગ મીટીંગનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. વિડિયો કોન્ફરન્સ બાદ જિલ્લા કલેકટરશ્રીએ શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ના આયોજનની પૂર્વ તૈયારીઓ વિશે સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન-સૂચનો આપ્યા હતા. વધુમાં ધોરણ ૧, આંગણવાડી અને બાલવાટિકામાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓનું ૧૦૦ ટકા નામાંકન થાય અને જિલ્લાનું એકપણ બાળક પ્રવેશથી વંચિત ન રહી જાય તે માટે તાકીદ પણ કરી હતી.
આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. એસ. યાજ્ઞિક, નાયબ પોલીસ મહાનિર્દેશક ડૉ. ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેકટર શ્રી આર.કે.ઓઝા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી આર.એમ.જાલંધરા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર.એમ.ઓઝા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભદ્રસિંહ વાઘેલા સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.