ગાંધીનગર, તા. ૧૦ જૂન, ૨૦૨૫: ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે આગામી તા. ૨૬ થી ૨૮ જૂન, ૨૦૨૫ દરમિયાન યોજાનાર ત્રિ-દિવસીય રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ૨૩મી કડીની તૈયારી માટે એક માર્ગદર્શક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને IAS, IPS, IFS સહિત વર્ગ-૧ ના ૪૦૦ જેટલા ઉચ્ચ અધિકારીશ્રીઓ સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ ૨૦૦૨-૦૩માં શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવના ૨૨ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. તેમણે અગાઉના પ્રવેશોત્સવના અનુભવો અને ફીડબેકના આધારે ટીમવર્કથી કાર્યરત રહીને વધુ પરિણામદાયી કાર્ય કરવાની સૌને પ્રેરણા આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સરકારી શાળાઓમાં વધુને વધુ બાળકો પ્રવેશ મેળવે તેવું વાતાવરણ ઊભું કરવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત, કન્યાઓ ધોરણ ૯ થી ૧૨નું શિક્ષણ મેળવે તે માટે ‘નમો લક્ષ્મી’ અને બાળકોમાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણ પ્રત્યે રુચિ કેળવાય તે માટે ‘નમો સરસ્વતી’ યોજનાના લાભોથી પ્રવેશોત્સવ દરમિયાન SMC ના સભ્યો અને બાળકોને માહિતગાર કરવાની પણ તેમણે તાકીદ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ‘આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ’ની થીમ સાથે રાજ્યભરની ૧૫૨૯ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ૫૧૩૪ ગ્રાન્ટ-ઈન-એઈડ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા ૩૧,૮૨૪ સરકારી પ્રાથમિક શાળાઓમાં યોજાવાનો છે.
શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં શાળાએ જવાપાત્ર બાળકોનું ૧૦૦ ટકા નામાંકન અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાની આ અભિનવ પહેલ હેઠળ બાલવાટિકામાં પ્રવેશ પાત્રતા ધરાવતા ૮.૭૫ લાખ, ૮મા ધોરણમાંથી ૯મા ધોરણમાં પ્રવેશની પાત્રતાવાળા ૧૦.૫૦ લાખ અને ધોરણ ૧૦થી ૧૧માં પ્રવેશ માટે પાત્રતા યોગ્ય ૬.૫૦ લાખ મળીને સમગ્રતયા ૨૫.૭૫ લાખ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવવાનું આયોજન કરવામાં આવેલ છે.