સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના શ્રી ખેરવા પે સેન્ટર શાળાના નવા ૧૪ રૂમનું ભવ્ય સંકુલનું ઉદઘાટન અને અર્પણવિધિ યોજવામાં આવી હતી. જેમાં બાલવાટિકાથી ધોરણ 8 માટેના રૂમો, આચાર્ય અને સ્ટાફ માટે ઓફિસ, એક કોમ્યુટર ખંડ, એક વિજ્ઞાન ખંડ, એક પુસ્તકાલય, વિશાળ પ્રાર્થના ખંડ સાથે ભવ્ય સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
ત્યારે પાટડી તાલુકાના ખેરવા ગામમાં હાલ આધ્યાત્મિકતાનો માહોલ છવાયો છે. યુવા હૃદય પ્રવર્તક ગણીવર્યશ્રી કલ્યાણરત્નવિજયજી મહારાજની પવિત્ર નિશ્રામાં પાલીતાણા યાત્રાધામ જવા નીકળેલા એક વિશાળ જૈન સંઘનું અહીં આગમન થયું છે.
આ સંઘમાં સાધુ ભગવંતો અને સાધ્વીજી મહારાજ બંનેનો સમાવેશ થાય છે. નિયમ અનુસાર, સાધુ ભગવંતો માટે અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આથી, 70 સાધુ ભગવંત મહારાજને ખેરવા પ્રાથમિક શાળામાં ઉતારો આપવામાં આવ્યો છે.
શાળાના આચાર્ય શ્રી વિરમભાઈએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, હાલ બાળકોનું વેકેશન ચાલી રહ્યું હોવાથી શાળાનો ઉપયોગ જૈન યાત્રા સંઘને મદદરૂપ થવા માટે કરી શકાયો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, સાધુ ભગવંત મહારાજના આગમનથી શાળા પરિસરમાં એક સકારાત્મક ઊર્જાનું વાતાવરણ સર્જાયું છે. ખેરવા ગામ અને શાળા પરિવાર આ પુણ્ય કાર્યમાં સહભાગી બની ધન્યતા અનુભવી રહ્યા છે.