વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલી રાજ્યના શહેરી વિકાસની બે દાયકાની સફળ યાત્રાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આગળ ધપાવવા માટે 2025નું વર્ષ 'શહેરી વિકાસ વર્ષ' તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ ઉપલક્ષ્યે, મુખ્યમંત્રીશ્રીએ શહેરી જન સુખાકારી વધારવાના મહત્વપૂર્ણ અભિગમ સાથે 6 નવરચિત મહાનગરપાલિકાઓ, 5 નગરપાલિકાઓ, અને અમદાવાદ-ગાંધીનગર મહાનગરપાલિકાઓ સહિત કુલ 1700.57 કરોડથી વધુના વિકાસ કાર્યોને એક જ દિવસમાં સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ માતબર રકમમાંથી, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને ₹257.60 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ભંડોળ થકી સુરેન્દ્રનગરના નાગરિકોને સ્ટ્રીટલાઇટ, સોલાર સુવિધા, સિટી બ્યુટીફિકેશન, પબ્લિક ગાર્ડન ડેવલપમેન્ટ, ડ્રેનેજ, ટ્રાફિક સર્કલ, રેન વોટર હાર્વેસ્ટિંગ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન, સિટી સિવિક સેન્ટર, ફાયર ઉપકરણો જેવી આંતરમાળખાકીય સુવિધાઓ મળશે. આ ઉપરાંત, શહેરી સડક યોજના અંતર્ગત રોડ નવીનીકરણ, રીસરફેસિંગ, વ્હાઇટ ટોપિંગ અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ફિલ્ટર પ્લાન્ટ રિપેરિંગ, રોડ-રસ્તા, ગટર, પાણીની સુવિધા અને આઇકોનિક રોડના નિર્માણ જેવા મૂળભૂત માળખાકીય સુવિધાના કામો પણ હાથ ધરાશે. મુખ્યમંત્રીશ્રીનો આ નિર્ણય શહેરી જનજીવનને વધુ સુવિધાસભર બનાવી 'અર્નિંગ વેલ-લિવિંગ વેલ'ના ધ્યેયને સાકાર કરવામાં નવું બળ પૂરશે.