સુરેન્દ્રનગર, 7 જૂન, 2025: સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (SNMC) દ્વારા શહેરના નાગરિકોની સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે કાર્યરત કરાયેલા "ફરિયાદ નિવારણ કેન્દ્ર" એ નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. 7 માર્ચ, 2025 ના રોજ શરૂ કરાયેલા આ કેન્દ્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 1657 ફરિયાદો પૈકી 1475 ફરિયાદોનો સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું છે.
નાગરિકોને પાણી, રોડ-રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ સહિતની સમસ્યાઓ અંગે ફરિયાદ નોંધાવવા માટે હેલ્પલાઇન નંબર 02752 284406 અને E-Mail: grievance.snmc@gmail.com જાહેર કરવામાં આવ્યા હતા, જેનો વ્યાપક પ્રતિસાદ મળ્યો છે.
મે 2025 સુધીના આંકડા મુજબ, ફરિયાદ નિવારણ કેન્દ્ર ખાતે વિવિધ પ્રકારની ફરિયાદોનું નિરાકરણ નીચે મુજબ થયું છે:
* પાણી સંબંધિત: 392 ફરિયાદોમાંથી 329 ફરિયાદોનો ઉકેલ.
* ગટર સંબંધિત: 113 ફરિયાદોમાંથી 88 ફરિયાદોનો ઉકેલ.
* રોડ સંબંધિત: 19 ફરિયાદોમાંથી 15 ફરિયાદોનો ઉકેલ.
* ઇલેક્ટ્રિક સંબંધિત (સ્ટ્રીટ લાઈટ): 906 ફરિયાદોમાંથી 887 ફરિયાદોનો ઉકેલ.
* સ્વચ્છતા સંબંધિત: 180 ફરિયાદોમાંથી 120 ફરિયાદોનો ઉકેલ.
* અન્ય ફરિયાદો: 47 ફરિયાદોમાંથી 36 ફરિયાદોનો ઉકેલ.
મહાનગરપાલિકા દ્વારા જણાવ્યા અનુસાર, કુલ મળેલી 1657 ફરિયાદો પૈકી 1475 ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવ્યો છે, જ્યારે બાકી રહેલી 182 ફરિયાદોના નિવારણની કામગીરી હાલ પ્રગતિમાં છે. આ "ફરિયાદ નિવારણ કેન્દ્ર" શહેરના નાગરિકોની સુખાકારી અને સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે એક મહત્વપૂર્ણ સાધન સાબિત થયું છે.