સુરેન્દ્રનગર, 7 જૂન, 2025: સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નવરંગપુરા ગામમાં આજે એક ગૌરવપૂર્ણ પ્રસંગ ઉજવાયો હતો. ગામના યુવાન જેસલ ઠાકોરનું અગ્નિવીર તરીકે આર્મીની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને પરત ફરતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેસલ, નવરંગપુરા ગામમાંથી અગ્નિવીર તરીકે આર્મીમાં જોડાયા બાદ તાલીમ પૂર્ણ કરનાર પ્રથમ યુવાન બન્યો છે, જેના પગલે સમગ્ર ગામમાં આનંદ અને ગર્વની લાગણી છવાઈ ગઈ હતી.
ગોવિંદભાઈ પોપટભાઈ ઠાકોરના પુત્ર જેસલના સ્વાગત સમારોહમાં ગામના સરપંચ નનુભાઈ, યુવા અગ્રણી સાવનભાઈ, ભાજપના આગેવાન ચિંતનભાઈ મહેતા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે ગામમાં એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં "ભારત માતા કી જય" ના ગગનભેદી નારા સાથે જેસલનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, જેસલના માતા-પિતાએ મજૂરી કરીને તેનો ઉછેર કર્યો છે, ત્યારે તેમના પુત્રએ દેશ સેવા માટે આર્મીમાં જોડાઈને ગામ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. જેસલની આ સિદ્ધિ અન્ય યુવાનો માટે પણ પ્રેરણાદાયક બની રહેશે.