પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના શિક્ષકોને તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજય કક્ષાએ અપાશે “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક
**************
ઈચ્છુક ઉમેદવારોએ તા.૩૧/૦૫/૨૦૨૫ સુધીમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીએ નિયત નમુનામાં અરજી કરવાની રહેશે
શિક્ષકોએ સમાજનું અભિન્ન અંગ છે. સમાજ ઘડતરમાં શિક્ષકોની ભૂમિકા અતિ મહત્વની હોય છે, ત્યારે સમાજ ઘડતરની ભૂમિકા અદા કરતા શ્રેષ્ઠ શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા સન્માનિત કરવાનું નક્કી કરાયુ છે. રાજયના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક આપી પ્રોત્સાહિત કરવા માટે જરૂરી નીતિ-નિયમોને આધિન તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજય કક્ષાએ “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક” આપવામાં આવે છે.
જે અન્વયે શ્રેષ્ઠ શિક્ષકો પસંદગી કરવા માટે દરખાસ્તો મોકલવાની રહે છે. આથી જે શિક્ષકો “શ્રેષ્ઠ શિક્ષક પારીતોષિક એવોર્ડ” મેળવવા માટે દરખાસ્ત કરવા ઈચ્છતા હોય તેઓએ તા.૩૧/૦૫/૨૦૨૫ સુધીમાં નિયત નમૂનામાં જરૂરી તમામ વિગત ભરી કર્મચારી તથા અધિકારીના સહિ સિક્કા કરાવી બે નકલમાં દરખાસ્તો “જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, સુરેન્દ્રનગર” ખાતે મોકલી આપવા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આર.એમ.ઓઝાની યાદીમાં જણાવાયું છે.
શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક” મેળવવા માટેના માપદંડો નીચે મુજબ છે....
૧) રાજય કક્ષાએ સરકારી, બિન સરકારી, અનુદાનિત પ્રાથમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાલ શૈક્ષણિક કાર્ય કરતા શિક્ષકો, મુખ્ય શિક્ષકો, અને દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપતી સરકારી અને બિનસરકારી અનુદાનિત સંસ્થાઓના શિક્ષકો માટેની દરખાસ્ત કરી શકશે.
૨) તાલુકા કક્ષાએ બે પારિતોષિક આપવાના થાય છે. જે ફક્ત પ્રાથમિક શાળાના શિક્ષકો માટે જ છે. જેથી દર વર્ષે બે પ્રાથમિક શિક્ષકોને તાલુકા કક્ષાએ પુરસ્કાર મળી શકશે. જેનો લઘુતમ અનુભવ ૫ વર્ષનો રહેશે.
૩) જિલ્લા કક્ષાના ચાર પારિતોષિક આપવાના રહેશે. જેમા બે પારિતોષિક પ્રાથમિક શાળાના શિક્ષકો માટે, એક પારિતોષિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટે, જયારે એક પુરસ્કાર સીઆરસી/બીઆરસી/કેળવણી નિરિક્ષક/એચ ટાટ આચાર્ય કે તેમના સમક્ષ કેટેગરી પૈકી ગમે તે એક માટે આપવાનો રહશે. જિલ્લા કક્ષાએ પારિતોષિક માટેનો લઘુતમ અનુભવ ૧૦ વર્ષનો રહેશે.