વિશ્વ મધમાખી દિવસ પ્રાકૃતિક ખેતી:દેશી મધમાખીથી ઉત્પાદિત થયેલું 700 રૂ. કિલોના ભાવે વેચાતું સાણંદના કાશીરામભાઈનું દેશી મધ

0

ખેતરમાં રહેલી દેશી મધમાખીઓનો સફાયો કરતા રાસાયણિક ખાતરોએ પાક લીલો કરી ખેતરોને પીળા પાડ્યા-ફળ અને શાકભાજીના પાક સારા થવામાં દેશી મધમાખીઓનો અપ્રતિમ ફાળો
લુપ્ત થવાના આરે બેઠેલી દેશી મધમાખીઓથી ત્રણ ફ્લેવર્સના અલગ અલગ ગુણવત્તાના મધનું ઉત્પાદન કરતા કાશીરામભાઈ સુરાભાઈ વાઘેલા, સાણંદ તાલુકાના ખીચા ગામના રહેવાસી છે. કાશીરામભાઈ વર્ષ 2013થી પ્રાકૃતિક ખેતી કરે છે અને આ ખેતીના માધ્યમથી તેઓ મધમાખીઓનું મહત્ત્વ પણ સમજાવે છે.
વર્ષ 1977માં કાશીરામભાઈ ધોરણ 7માં અભ્યાસ કરતા હતા. તે સમયે ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ થતો ન હતો. તે સમયે ઘરની બારીમાંથી, ઝાડની ડાળીની ટોચ પર ત્રણથી ચાર મધમાખીઓની વસાહતો તો નજરે પડી જાય! જો આપણે ઘઉંના ખેતરમાં જઈએ તો ઘઉંના ખેતરમાં જવાસા થતાં હતા. એ જવાસા ફૂલમાં પણ મધ રહેલું જોવા મળતું હતું અને મધમાખીઓ પણ જોવા મળી જતી હતી. પરંતુ, આજના સમયમાં દેશી મધમાખીઓ લુપ્ત થવાના આરે છે. મધમાખીઓનું લુપ્ત થવાનું મુખ્ય કારણ લોકોની સમજણનો અભાવ છે. આજના સમયમાં દેવી-પૂજક સમાજના લોકો પણ દેશી મધમાખીઓ ઓછી થવાથી ચિંતિત છે.
કાશીરામભાઈ કહે છે કે, તેઓએ પોતાની સમજણના અભાવે મધમાખીઓએ બનાવેલા મધપૂડાનો નાશ કરી નાખતા હતા. મધમાખીઓ વિશે પૂરતી જાણકારી ન હોવાના કારણે મધમાખીઓ જોતા જ કાશીરામભાઈને ચીડ ચડતી હતી. ખેતરમાં રહેલી મધમાખીઓ, તેના ઈંડા અને બાળકોને પણ મારી નાખવાનું મન થતું હતું.
છેલ્લાં 40 વર્ષથી ખેડૂતોએ ખેતીમાં મોટી માત્રામાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. આ નકલી રાસાયણિક ખાતરો નાખીને પાક લીલો તો થઈ ગયો પરંતુ ખેતરો પીળા પડી રહ્યા છે! ઝાડાના પાંદડા પાનખર સિવાય પણ ખરી રહ્યા છે! રાસાયણિક ખાતરોના ઉપયોગથી પાક ઉપર વિવિધ રોગો દેખાવા લાગ્યા છે. ખેડૂતોએ આ રોગોના નિયંત્રણ માટે ઝેરી દવાઓનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આ ઝેરી દવાઓના કારણે ખેતરોમાંથી અને લીલોતરીમાંથી આપણી ભારતીય મધમાખીઓ લુપ્ત થવાના આરે છે.
કાશીરામભાઈના કહેવા અનુસાર જેમ પહેલા તેઓ પોતે ખેતીમાં મધમાખીઓના મહત્ત્વથી અજાણ હતા તેમ સામાન્ય લોકો પણ મધમાખીઓના મહત્ત્વને જાણતા નથી. જો મધમાખીઓ સંપૂર્ણપણે નાશ પામશે તો આજે આપણા ઘરમાં જે ફળો કે શાકભાજી આવે છે તે પણ નાશ પામશે. ટામેટાં, ગલકા, તુરિયા કે, આપણા ઘરમાં આવતા ફળો જેમ કે, દાડમ, સપોટા, ચેરી, મોસંબી, લીંબુ, નારંગી, ખારેક, સરસવ, ધાણા, સુવાદાણા, અજમા વગેરેનો પાક થવામાં મધમાખીઓનો અપ્રતિમ ફાળો છે.
કાશીરામભાઈ સમજાવે છે કે, મધમાખીઓ દૂરના અંતરેથી પણ ફૂલોનો રસ અને પરાગરજ લાવે છે. મધમાખીનું અસ્તિત્વ છોડના પ્રજનન માટે જવાબદાર હોય છે. પરાગનયન એટલે કે, પરાગરજ એક ફૂલના પુંકેસરથી બીજા ફૂલના બીજકોષ પર મુકાય છે; અને એમ કરતા કરતા ફૂલો અને વનસ્પતિની સંખ્યા વધે છે. મધમાખીઓ વનસ્પતિ અને તેના ફૂલોમાં રહેલા મધુર સ્રાવમાંથી મધ બનાવે છે. આ ફૂલોના રસમાંથી મધમાખીઓ મધપૂડો બનાવે છે. તો જેમ જેમ રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધતો ગયો છે તેમ તેમ મધમાખીઓ આ રસાયણોથી નાશ પામી છે. અને તે જ કારણસર, આજના સમયમાં દેશી મધમાખીઓ લુપ્તતાના આરે છે.(PM BY અમદાવાદ)
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top