તા.૨૧ એપ્રિલના રોજ શ્રી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, સરા ખાતે ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલ અને શ્રી યુ. બી. પરમારની વિદાય માટે શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમતી ધર્મિષ્ઠાબેનની સાણંદ અને શ્રી પરમાર સાહેબની કેશોદ ખાતે બદલી થતાં શાળા પરિવારે તેમને વિદાય આપી હતી.
આ પ્રસંગે શ્રીમતી ધર્મિષ્ઠાબેન અને શ્રી પરમાર સાહેબે શાળામાં પોતાની ૨૦ વર્ષની લાંબી સેવા દરમિયાનના યાદગાર સંસ્મરણો વાગોળ્યા હતા અને પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. તેમના સાથી કર્મચારીઓએ અને શાળાના આચાર્ય શ્રી કમલેશભાઈ કુણપરાએ બંનેને તેમની નવી શરૂઆત માટે શુભકામનાઓ પાઠવી હતી અને તેમને સ્મૃતિચિહ્ન (મોમેન્ટો) અર્પણ કર્યા હતા. સંસ્થા સાથેના પોતાના લગાવને વ્યક્ત કરતાં શ્રીમતી ધર્મિષ્ઠાબેને શાળાને વોટર કૂલર અને શ્રી પરમાર સાહેબે રોકડ રકમનું કવર ભેટ સ્વરૂપે અર્પણ કર્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફ દ્વારા બંને વિદાય લઈ રહેલા શિક્ષકોને ભાવભીની વિદાય આપવામાં આવી હતી અને તેમના નવા જીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.