ત્રાસવાદી/અસામાજિક તત્વો શહેરોમાં તેમજ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે છે તેમજ આતંકવાદી પ્રવૃત્તિઓ કરે છે. આથી આતંકવાદી હુમલાઓ અટકાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા વગર મકાન ભાડે આપવા માટે પ્રતિબંધિત ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર, જિલ્લામાં મકાન ભાડે આપતા પહેલાં મકાન માલિકનું નામ, ભાડે આપેલ મકાનની વિગત, કયા વિસ્તારમાં આવેલું છે તેની પૂરેપૂરી વિગત તથા કેટલા ચો.મી.માં બાંધકામ છે. મકાન ભાડે આપવા સત્તા ધરાવતા વ્યક્તિનું નામ, મકાન ભાડે આપ્યાની તારીખ તથા માસિક ભાડાની રકમ, કોઈ વ્યક્તિઓને ભાડે આપેલ છે તો તેમના પાકા નામ સરનામા ફોટા સાથે આપવા તથા મકાન માલિકને ભાડુઆતનો સંપર્ક કરાવનાર દલાલ/ઓળખાણ આપનાર વ્યક્તિનું નામ, સરનામું સહિતની વિગતો જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશને નિયત ફોર્મમાં ભરીને આપવાની રહેશે.
આ જાહેરનામું સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા - ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.