વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરતમાં ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે વંચિત-ગરીબ વર્ગના લાભાર્થીઓ માટે વડાપ્રધાન શ્રી નિઃશુલ્ક અનાજ લાભ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે વડાપ્રધાન શ્રીએ જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ અન્ન યોજના ૮૧ કરોડથી વધુ લાભાર્થીઓ સાથે વિશ્વની સૌથી મોટી ખાદ્ય સુરક્ષા યોજના બની છે. અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાનથી તુષ્ટિકરણ નહીં, સંતુષ્ટિકરણની ભાવના ઉજાગર થઈ છે. કેન્દ્ર સરકારનું લક્ષ્ય દેશના દરેક પરિવારોને પર્યાપ્ત પોષણ પ્રદાન કરી દેશને એનીમિયા અને કુપોષણથી મુક્ત બનાવવાનું છે. સાચી નિયત અને નીતિથી યોજના બને તો ગરીબો, જરૂરિયાતમંદોને હકનો લાભ અવશ્ય મળે છે. સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન હેઠળ સુરતના બે લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે લાભ વિતરણનો પ્રારંભ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી એ કરાવ્યો હતો. પાત્રતા ધરાવતા ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના, વૃદ્ધ પેન્શન યોજના, દિવ્યાંગ સહાય યોજના તેમજ અન્ય ગરીબ પરિવારો PMGKAY યોજના હેઠળ વડાપ્રધાનશ્રીના હસ્તે સામૂહિક રીતે લાભાન્વિત સુરતના વંચિત જૂથોના બે લાખથી વધુ લાભાર્થીઓને એક સમયે, એક છત્ર નીચે મળ્યો નિઃશુલ્ક અન્ન સુરક્ષાનો આધાર છે.
આ તકે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે કોઈપણ ગરીબ કે છેવાડાના વ્યક્તિને ભૂખ્યા ન સૂવું પડે તેની કાળજી વડાપ્રધાનશ્રીએ લીધી છે. ગરીબોને આવાસ, આહાર અને આરોગ્યની પૂરતી સુવિધા આપીને વડાપ્રધાનશ્રીએ ગરીબોનું સાચા અર્થમાં સશક્તિકરણ કર્યું છે.