સુરેન્દ્રનગર જિલ્લામાં સૌની યોજના અને બ્રાન્ચ કેનાલના કામો અન્વયે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ, સુરેન્દ્રનગર ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
સૌની યોજનાના સંબધિત અધિકારીઓ સાથેની આ બેઠકમાં પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી હતી. જ્યાં સૌની યોજના મારફત પાણી નથી પહોંચતું, તે વિસ્તારમાં કઈ રીતે પાણી પહોંચાડી ખેડૂતોને મદદરૂપ થઈ શકાય તે માટે ચર્ચાઓ કરી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ બેઠકમાં સૌની યોજનાના કાર્યપાલક ઈજનેર, ડેપ્યુટી ઈજનેર સહિતના સંબધિત અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નર્મદા વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં લીંબડી બ્રાન્ચ કેનાલ, બોટાદ બ્રાન્ચ કેનાલ, મોરબી બ્રાન્ચ કેનાલ આ ત્રણેય બ્રાન્ચ કેનાલના રીપેરીંગ કામો તેમજ નવા કામો અંગેના પ્રગતિ અહેવાલની ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે રીતે કામગીરી હાથ ધરવા માટે ચર્ચાઓ કરી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ બેઠકમાં મુખ્ય ઈજનેરશ્રી, કાર્યપાલક ઈજનેરશ્રી તેમજ સંબધિત અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.