ચોટીલા ખાતે તા.૧૧ અને ૧૨ માર્ચ બે દિવસીય “ચોટીલા ઉત્સવ – ૨૦૨૫” યોજાશે:ઉત્સવમાં વિવિધ કલાકાર/કલાવૃંદ દ્વારા પ્રસ્તુત કરાશે વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર, સુરેન્દ્રનગર દ્વારા જિલ્લામાં ચોટીલા ખાતે બે દિવસીય “ચોટીલા ઉત્સવ”નું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે તા.૧૧ અને ૧૨ માર્ચનાં રોજ “ચોટીલા ઉત્સવ-૨૦૨૫” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ચોટીલા ઉત્સવ-૨૦૨૫નો શુભારંભ તા.૧૧ માર્ચનાં રોજ સાંજે ૦૮.૦૦ કલાકે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાનાં વરદ હસ્તે શ્રી ચામુંડા માતાજી મંદિર, તળેટી પાર્કિંગ પ્લોટ, ચોટીલા ખાતે થશે. આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરિકૃષ્ણભાઈ પટેલ, સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા, ચોટીલા ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ, લીંબડી ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા, દસાડા ધારાસભ્ય શ્રી પી.કે.પરમાર, ધ્રાંગધ્રા ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ ભવ્યાતિભવ્ય ઉત્સવ અંતર્ગત બે દિવસ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં તા.૧૧ માર્ચનાં રોજ રાજેન્દ્રભાઈ રાવલ - અમદાવાદ દ્વારા કેરવાનો વેશ, કે. એલ. ઈન્સ્ટીટ્યૂટ ફોર ડીફ – ભાવનગર દ્વારા ગણેશ સ્તુતિ, એસ. વી. પટેલ બાળશાળા – આણંદ દ્વારા રાજસ્થાની તેરાહ તાલી નૃત્ય, આંગીકમ ગ્રુપ –વિસનગર દ્વારા ગરબો, આદિવાસી યાહામોગી નવયુવક લોકકલા ટ્રસ્ટ – નર્મદા દ્વારા વસાવા હોળી નૃત્ય, ગોવિંદભા ગઢવી – થાનગઢ દ્વારા લોક ડાયરો તેમજ જયદેવ ગોસાઈ-રાજકોટ દ્વારા લોક સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવશે.
તા. ૧૨ માર્ચનાં રોજ હિતેશ બારોટ – સાયલા દ્વારા લોકસંગીત, દ્વારકેશ ગોપાલક ગ્રુપ – પાટણ દ્વારા બેડા રાસ, ત્વિષા વ્યાસ –બારડોલી દ્વારા નૃત્ય નાટિકા, આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ-સોનગઢ, તાપી દ્વારા ગામીત ઢોલ નૃત્ય, અઘોરી મ્યુઝિક-અમદાવાદ દ્વારા ફોક હીપહોપ મ્યુઝિક પ્રસ્તુત કરવામાં આવશે.
આમ, આ ઉત્સવમાં વિવિધ જૂથો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોને સહભાગી થવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં યાત્રાધામો ખાતે ઉજવાતા ઉત્સવો “કલા – સંસ્કૃતિનાં સુભગ સમન્વય" તરીકે પ્રસ્થાપિત થયા છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪-૧૫થી ગીર સોમનાથ ખાતે સોમનાથ ઉત્સવ, બનાસકાંઠા ખાતે અંબાજી ઉત્સવ, દ્વારકા ખાતે દ્વારકા ઉત્સવ, ખેડામાં ડાકોર ખાતે ડાકોર ઉત્સવ, અરવલ્લીમાં શામળાજી ઉત્સવ, પાટણ જિલ્લામાં રાણકીવાવ-ઉત્સવ જેવા અલગ-અલગ ૧૧ પવિત્ર યાત્રાધામો ખાતે બે દિવસનાં ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ઉજવાતા “ચોટીલા ઉત્સવ” કાર્યક્રમમાં રાજ્યભરનાં કલાકારો પોતાની કલાની ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ કરે છે.