સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવર્તમાન પરિસ્થિતિ તેમજ આંતકવાદી પ્રવૃતિને લક્ષમાં લેતા કોઈપણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય, જાહેર સલામતી તથા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કે.સી.સંપટ દ્વારા હથિયારબંધી અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામાં મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૧/૧૨/૨૦૨૫ સુધી નગરપાલિકા વિસ્તારમાં સબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી તથા ગ્રામ્ય વિસ્તારમાં મામલતદારશ્રી અને એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટની અગાઉથી મંજુરી મેળવ્યા સિવાય શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, ખંજર, ચપ્પા, લાકડી, લાઠી, ધોકા, બંદુક, કુંડલીવાળી લાકડી તથા શારીરિક ઇજા પહોંચાડી શકે તેવા કોઇપણ પ્રકારના સાધનો ધારણ કરવાની કે સાથે લઇ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પરવાના વાળા હથિયારો લઇ જાહેર જગ્યાઓએ જવા, હવામાં ફાયર કરવા, મેળા ધાર્મિક સરઘસ કે વ્યક્તિઓના સમુદાયમાં લઇ જવા, પથ્થરો કે બીજા શસ્ત્રો અથવા તે શસ્ત્રો ફેંકવાના અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઇ જવાની એકઠા કરવાની તથા તૈયાર કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
વધુમાં, કોઈપણ ક્ષયકારી પદાર્થ અથવા વિસ્ફોટક પદાર્થો, વ્યકિતઓ અથવા તેમના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા તૈયાર કરવાની દેખાડવાની કે સળગાવવાની કે ફાંસી આપવાની કે સાથે લઈ જઈ નહિ શકાય. સુરૂચિનો ભંગ થાય અથવા નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવાની, તેવી ચેષ્ટા કરવાની, તેવા ચિત્રો-પત્રિકા-પ્લેકાર્ડ અથવા બીજા કોઇ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરી ફેલાવો કરી શકાશે નહી. બુમો પાડવાની અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં વિવિધ/બિભત્સ શબ્દો, અશ્લીલ ગીતો ગાવા અથવા ટોળામાં ફરી શકાશે નહિ.
તદુપરાંત, કોઈ સરઘસમાં જલતી અને પેટાવેલી મશાલ લઈ જઈ શકાશે નહિ. પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સીના સંચાલક અને કર્મચારી લાયસન્સવાળા હથિયારો સાથે લઈ પોતાની ફરજ સિવાયના સમયે જાહેર જગ્યામાં જવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જીગઝેક પ્રકારના ચાઇનીઝ ચપ્પાઓ સાથે રાખવા કે વેચાણ કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાહેરનામાંનાં ભંગ બદલ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫ હેઠળ દંડ અને શિક્ષા કરવામાં આવશે.(માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર)