લુપ્ત થતી ટાંગલિયા કળાને આજે સરકારશ્રીની મદદથી નવજીવન મળ્યું
કેન્દ્ર અને રાજ્ય સરકારનાં દીર્ઘદ્રષ્ટિભર્યા આયોજનનાં પરિણામે આજે મૃત:પાય ટાંગલિયા કળા જીવંત બની ટકી રહી છે : લીલાબેન રાઠોડ, પ્રમુખ શ્રદ્ધા મહિલા મંડળ

રંગોનો તાણોવાણો હાથેથી બનેલો,
ટાંગલિયો મારો ગુજરાતની શાન છે.
દોરા દોરામાં સપનાં સંતાડે, કારીગરની કળા દરેક તાંતણે,
વારસો પેઢી દર પેઢી ચાલતો, ટાંગલિયો મારો ગુજરાતનું અભિમાન છે.
“એક સમય હતો, જયારે અમારી ટાંગલિયા કળા લુપ્ત થવાના આરે હતી. પરંતુ આજે સરકારશ્રીની મદદથી અમારી કળાને નવજીવન મળ્યું છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર માનીએ એટલો ઓછો છે. આ શબ્દો છે ટાંગલિયા કળાથી આર્થિક રીતે પગભર થયેલા સુરેન્દ્રનગરનાં લીલાબેન રાઠોડના. તેઓ કહે છે કે, આધુનિક ટેકનોલોજીથી બનેલા કાપડ આવી જતા પરંપરાગત ટાંગલિયા કળાની માંગ ધીમે-ધીમે સાવ ઘટી ગઈ હતી. જેના પરિણામે તેઓ સાવ ધંધા-રોજગાર વિનાના બેકાર થઈ ગયા હતા. દુઃખનાં આ કપરા સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનાં દીર્ઘદ્રષ્ટિભર્યા આયોજનનાં પરિણામે આજે મૃત:પાય ટાંગલિયા કળા જીવંત બની ટકી રહી છે.
દેદાદરા ગામનાં વતની લીલાબેન રાઠોડ અને તેમનો પરિવાર ટાંગલીયા વણાટના ડ્રેસ, સાડી, દુપટ્ટા, કુર્તા, બેડશીટ બનાવી સાચવી રહ્યા છે લુપ્ત થતી ટાંગલિયા કળાનો વારસો
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાનાં દેદાદરા ગામનાં વતની લીલાબેન રાઠોડ અને તેમનો પરિવાર ટાંગલિયા વણાટના ડ્રેસ, સાડી, દુપટ્ટા, કુર્તા, બેડશીટ બનાવી લુપ્ત થતી આ ટાંગલિયા કળાનો વારસો સાચવી રહ્યા છે. ગામની કળાપ્રેમી બહેનોને સાથે જોડીને લીલાબેને ‘શ્રદ્ધા મહિલા મંડળ’ નામે સખી મંડળની રચના કરી છે. આ મંડળમાં લીલાબેન પ્રમુખ તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. મંડળ સાથે જોડાયેલી તમામ બહેનો આજે સ્વની સાથે અન્યને પણ જોડી આ કળાને જીવંત રાખવાનાં અવિરત પ્રયાસો કરી રહી છે. લીલાબેન વડોદરા, સુરત, અમદાવાદ, બેંગ્લોર, હૈદરાબાદ, દિલ્હી જેવા મોટા શહેરોમાં યોજાતા હસ્તકળા મેળાઓમાં ભાગ લઈ પોતાના ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતી અપાવી ચુક્યા છે. રાજ્યની આંગળીના વેઢે ગણી શકાય તેવી હાથવણાટ કળાઓમાં સુરેન્દ્રનગરની ટાંગલિયા વણાટ કળા આગવું સ્થાન ધરાવે છે.
વડોદરા, સુરત, અમદાવાદ, બેંગ્લોર, હૈદરાબાદ, દિલ્હી જેવા શહેરોમાં યોજાતા હસ્તકળા મેળાઓના પરિણામે આજે ટાંગલિયા ઉત્પાદનોની આંતરરાષ્ટ્રીય સ્તરે માંગ
કપરા સમયમાં સરકારશ્રી તરફથી મળેલા સાથ-સહકારની વાત કરતાં લીલાબેન જણાવે છે કે, કળાને વધુ સારી રીતે નીખારી શકાય તે માટે સમયાંતરે સરકાર તરફથી તાલીમનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત પહેલા વેચાણ ક્યાં કરવું તે જ મોટો પ્રશ્ન હતો. પરંતુ હવે સરકાર દ્વારા યોજાતા પ્રદર્શન સહ વેચાણ મેળાઓમાં ભાગ લેવાની તકો સાથે વેચાણ માટેનું સરસ પ્લેટફોર્મ પણ મળી રહે છે. લાગણીભીના શબ્દો સાથે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આજે જેટલું પણ ઉત્પાદન કરવામાં આવે તે બધું જ સરકારશ્રી તરફથી યોજાતા પ્રદર્શન સહ વેચાણ મેળાઓમાં વેચાઈ જાય છે. હાલમાં લીલાબેન વાર્ષિક રૂ. ૧૫ થી ૧૮ લાખનું વેચાણ કરી પોતાની સાથે સખી મંડળના તમામ બહેનો આત્મનિર્ભર બની પરિવારને આર્થિક મદદરૂપ બની રહ્યા છે.
ટાંગલિયા વણાટગામની કળાપ્રેમી બહેનોને સાથે જોડીને ‘શ્રદ્ધા મહિલા મંડળ’ નામે સખી મંડળની રચના, વાર્ષિક રૂ. ૧૫ થી ૧૮ લાખનું વેચાણ કરી સખી મંડળની તમામ બહેનો આત્મનિર્ભર બની પરિવારને કરી રહી છે આર્થિક મદદ
ગુજરાતએ હસ્તકળાઓનો સમૃદ્ધ વારસો ધરાવતું રાજ્ય છે. જુદા-જુદા જિલ્લાઓની હસ્તકળા અને જુદી-જુદી હાથવણાટ કળાઓ દેશ–વિદેશમાં આગવી ઓળખ ધરાવે છે. પટોળા, બાંધણી, કચ્છી ભરતકામ, કાષ્ટ કળા, માટી કળા, ટાંગલીયા, જરીકામ સહિતની કળાઓએ લોકોમાં અનેરું આકર્ષણ જન્માવ્યું છે. હસ્તકળાએ માત્ર કારીગરી નથી, પરંતુ આપણી પ્રાચીન સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ છે. આવી જ એક ૭૦૦ વર્ષ કરતાં પણ જૂની કળા એટલે ટાંગલિયા વણાટ.
ટાંગલિયા કળાની શરૂઆત સુરેન્દ્રનગર જિલ્લામાં થઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લાનાં વઢવાણ તાલુકાનાં દેદાદરા, વસ્તડી ગામનાં ડાંગસીયા પરિવારો દ્વારા આ હસ્તકળાનું સંવર્ધન કરવામાં આવી રહ્યું છે. આ કળાને જીવંત રાખવામાં તેઓ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ટાંગલિયા વણાટ કળાએ ભારતની સમૃદ્ધ હસ્તકળા પરંપરાનો મહત્વપૂર્ણ ભાગ છે, જે તેની અનોખી ડિઝાઈન અને નિપુણતા માટે જાણીતી છે. પહેલાના જમાનામાં મોટાભાઈ ભરવાડની સ્ત્રીઓ ઉનનો ટાંગલિયો પહેરતી હતી. આ કળામાં પહેલા ઊંનનું કાપડ વાપરવામાં આવતું હતું પરંતુ હવે કોટન તેમજ સિલ્કની મદદથી અવનવી વસ્તુ તૈયાર કરવામાં આવે છે. અત્યારે ટાંગલિયા વણાટનાં દુપટ્ટા, ડ્રેસ, સાડીએ લોકોમાં અનોખું આકર્ષણ ઉભું કર્યું છે.
વર્ષ ૨૦૦૭માં ગાંધીનગરની નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ડિઝાઇન (NIFT)ની મદદથી ટાંગલિયા હસ્તકળા સંગઠન (ટાંગલિયા હેન્ડીક્રાફ્ટ એશોસિએશન)ની રચના કરવામાં આવી અને NIFT દ્વારા કારીગરોને કૌશલ્ય તાલીમ આપવામાં આવી હતી. તદુપરાંત “સાથ” NGOએ પણ આ કળાને પુનર્જીવિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આજે NIFT, સાથ તેમજ સરકારશ્રીની મદદથી લીલાબેન જેવા અનેક કારીગરોને બેંગલુરુ, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ સહીતનાં દેશ-વિદેશમાંથી ખરીદદારો મળી રહ્યા છે.
GI ટેગથી આરક્ષિત ટાંગલિયા કળા આંગળીના ટેરવે કોટન, વુલન અને સિલ્ક પર બારીકાઈથી અને ચીવટપૂર્વક કરવામાં આવતું પરંપરાગત હાથ વણાટ એટલે ટાંગલિયા. ટાંગલિયા વર્ક એ હાથની કળા છે, આ કામ મશીનથી કરવામાં આવતું નથી. કારીગર ગણતરી કરીને કોટનના એક પછી એક તાર પર દોરાના છેડાને સિફતપૂર્વક આંગળીથી ગોળ વણીને તોડી નાખે છે અને એમ કરતાં-કરતાં ડિઝાઈન બનતી જાય છે. તારની ઉપર દોરો ગોળ વણાઈ જતો હોવાથી કાપડની બન્ને બાજુ એની ડિઝાઈન એકસરખી જ દેખાય છે.
ડાંગસિયા સમુદાય સાથે સંકળાયેલી આ ટાંગલિયા કળાને યુનેસ્કો દ્વારા વર્ષ ૨૦૦૯માં ભૌગોલિક સૂચકાંક (GI) ટેગ આપવામાં આવ્યો હતો. આ ટેગની અવધિ પૂર્ણ થતાં વર્ષ ૨૦૨૪માં ટેગ રીન્યુ કરવામાં આવ્યો છે. આ ટેગ મળવાથી આજે ટાંગલિયા કળાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે. આ ઉપરાંત આ કળાને નકલી ઉત્પાદનોથી બચાવવામાં પણ મદદ મળી છે. GI ટેગએ ગુણવત્તાનું પ્રમાણપત્ર છે જે ગ્રાહકોને ખાતરી આપે છે કે તેઓ અસલી ઉત્પાદન ખરીદી રહ્યા છે.
આજે ટાંગલિયા કારીગરો આધુનિક સમયને અનરૂપ તેમનાં ઉત્પાદનો બનાવી રહ્યા છે. આકર્ષક ડિઝાઈન્સ સાથે સમયને અનરૂપ ફેરફારોના કારણે આજે ટાંગલિયાની બજારમાંગમાં પણ ઘણો વધારો થયો છે. ગરવી ગુર્જરી વેચાણ કેન્દ્રો ખાતે પણ ટાંગલિયાનું વિપુલ પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. ટાંગલિયાને મળેલો GI ટેગ ગુજરાતની ટાંગલિયા હસ્તકળાના સમૃદ્ધ વારસા અને જટિલ કારીગરીને વ્યાખ્યાયિત કરે છે. ટેગથી ટાંગલિયા કળાનું સ્થાન વૈશ્વિક ફલક પર મજબૂત બન્યું છે.