મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાગરિકોને સલામત, સુરક્ષિત અને
સુવિધા સભર રોડ નેટવર્ક પૂરું પાડ્યું છે
રાજ્યના નાગરિકોને વધુ સુવિધાજનક રોડ નેટવર્ક મળવાથી યાતાયાત
સરળ બનશે :નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા
નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને અણીન્દ્રા ગામે રાજપર-કરણગઢ અને ભદ્રેશી-અણીન્દ્રા રોડનું રૂ.૪.૫૦ કરોડના રીસર્ફેસીંગ કામોનો ખાતમુર્હુત કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે સંબોધન કરતા નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાગરિકોને સલામત, સુરક્ષિત અને સુવિધા સભર રોડ નેટવર્ક પૂરું પાડ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ગામડાઓમાં આયોજનબદ્ધ વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેના પરિણામે નાગરિકોની સુખાકારીમાં વધારો થઇ રહ્યો છે. આજે ગામડાઓમાં પણ શહેરની સમકક્ષ સવલતો ઉભી કરવામાં આવી છે. ગામડાઓમાં પણ રોડ, રસ્તા, બ્રીજ, વગેરે જેવા વિકાસના કામો ખૂબ જ ઝડપભેર થઈ રહ્યા છે.
આગામી દિવસોમાં રાજ્યના નાગરિકોને વધુ સુવિધાજનક રોડ નેટવર્ક મળવાથી યાતાયાત સરળ બનશે એમ કહેતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સરકારે રાજ્યમાં રોડ કનેક્ટિવિટીનું સુદ્રઢ માળખું ઊભું કર્યું છે. આજે અંતરિયાળ વિસ્તારના નાના ગામથી માંડીને મોટા શહેરોને ઉત્તમ પ્રકારના માર્ગોથી જોડવામાં આવ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, રૂ.૨.૫૦ કરોડના ખર્ચે રાજપર-કરણગઢ રોડનું રીસર્ફેસીંગ કામ અને રૂ.૨ કરોડના ખર્ચે ભદ્રેશી-અણીન્દ્રા રોડનું રીસર્ફેસીંગ કરવામાં આવશે.
આ પ્રસંગે તાલુકા ન્યાય સમિતિ ચેરમેન ચંદુભાઈ મકવાણા, અગ્રણી સર્વે મુકેશભાઈ પટેલ, કૃષ્ણસિંહ રાણા, નાયબ કાર્યપાલક ઇજનેર રવિરાજસિંહ જાદવ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.