નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને ખોડુ ગામે દુધરેજ-ખોડુ-વેળાવદર રોડ અને રીસર્ફેસીંગ ઓફ ખોડુ-અંકેવાળીયા રોડનો ખાતમુર્હુત કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે સંબોધન કરતા નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસથી જનજનને સાથે રાખીને પ્રગતિના માર્ગે આગળ વધી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારે રાજ્યમાં રોડ કનેક્ટિવિટીનું સુદ્રઢ માળખું ઊભું કર્યું છે. આજે રાજ્યના અંતરિયાળ વિસ્તારના નાના ગામથી માંડીને મોટા શહેરોને ઉત્તમ પ્રકારના માર્ગોથી જોડવામાં આવ્યા છે.
રાજ્યના અંતરિયાળ વિસ્તારના નાના ગામોથી માંડીને મોટા શહેરોને ઉત્તમ પ્રકારના માર્ગોથી જોડવામાં આવ્યા:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારે રાજ્યમાં રોડ કનેક્ટિવિટીનું સુદ્રઢ માળખું ઊભું કર્યું-નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા
વઢવાણ તાલુકાનાં રોડ રસ્તાના કામોની માહિતી આપતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સુરેન્દ્રનગર - દુધરેજ - ચમારજ - અધેલી - નગરા - ખોડુ - વેળાવદર સુધી ૨૨ કિલોમીટરના રસ્તાની સરકારે મંજૂરી આપી દીધી છે. આ રસ્તા માટે રૂ.૩૬.૫૦ કરોડ મંજુર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રૂ.૪ કરોડના ખર્ચે દુધરેજ ગામની અંદરનો રસ્તો મંજૂર થઈ ગયો છે. આજે રૂ.૬ કરોડના રોડનાં ખાતમુર્હુતથી આ વિસ્તારના લોકોની રોડ સુવિધામાં વધારો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રૂ.૪.૫૦ કરોડના ખર્ચે દુધરેજ-ખોડુ-વેળાવદર રોડ તૈયાર થશે. આ રોડ પર ડબલ્યુ.બી.એમ., પી.સી.સી. તથા ટ્રીમીક્ષ સી.સી. તેમજ આર.સી.સી ગટરની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત રૂ.૨ કરોડના ખર્ચે ખોડુ-અંકેવાળીયા રોડનું રીસર્ફેસીંગ કરવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી અમથુભાઈ કમેજળીયા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી ત્રિભોવનભાઈ નાકીયા, અગ્રણી સર્વે શ્રી મુકેશભાઈ પટેલ, રવજીભાઈ રોજાસરા, કાર્યપાલક ઇજનેર શ્રી ડી.આર.પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.