પાટડીમાં જીલ્લા ફેર બદલીના કેમ્પ-શેડયુલ ઝડપથી કરવા HTAT આચાર્યોએ ધારાસભ્યને આવેદનપત્ર
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ધારાસભ્યને રૂબરૂ મળી એચ. ટાટના પ્રમુખ, મહામંત્રી, રાજ્યસંઘના હોદેદારસહિતના તમામ કારોબારી સભ્યો અને આચાર્યોએ જિલ્લા ફેર બદલીના કેમ્પ અને શિડ્યુલ ઝડપી આવે એ માટે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ધારાસભ્ય પી. કે. પરમારે ખુબ સકરાત્મક રીતે સાંભળી આ બાબતે મુખ્યમંત્રીને રજુઆત કરી યોગ્ય કરશે એની બાહેંધરી આપી હતી.
આ અંગે લેખિત રજૂઆતમા જણાવ્યા મુજબ વર્ષ- ૨૦૧૨થી એચ.ટાટ મુખ્ય શિક્ષકોની કેડર અસ્તિત્વમાં આવી હતી. એચ.ટાટ મુખ્ય શિક્ષક ભાઈઓ-બહેનો છેલ્લા ૧૨ વર્ષથી પોતાના વતન અને સ્વજનોથી દુર રહીને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે. ૧૨ વર્ષ જેટલા લાંબા સમય બાદ બદલીના નિયમો સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા અને આંતરિક બદલી પણ કરવામાં આવી જે બદલ રાજ્યના તમામ એચ.ટાટ ભાઈઓ અને બહેનો સરકારનો આભાર માને છે પરંતુ ખાસ અગત્યનું જિલ્લા ફેર બદલીનું કામ છે. જેનું શિડયુલ સરકાર દ્વારા તૈયાર કરાઈ ગયું હોવા છતાં કોઈને કોઈ કારણસર જાહેર કરવામાં આવતું નથી જેથી 12 વર્ષથી જે HTAT મુખ્યશિક્ષકો પોતાના વતનથી દુર છે. એમના પોતાના વતનમાં જવાની રાહમાં અડચણો ઊભી થાય છે.
તમામ કેડરમાં પહેલા જિલ્લા ફેર બદલી કરવામાં આવે છે અને ત્યારબાદ જ નવી ભરતી કે બઢતી આપવામાં આવે છે હવે એચ.ટાટ મુખ્ય શિક્ષકો ખોટી માંગણી કે હક વગરની માંગણી નથી કરતા અમને વિશ્વાસ છે કે, સરકાર અમારી વ્યથા સમજીને અમને અન્યાય ક્યારેય થવા નહી દે આ બાબતે ધારાસભ્ય પી. કે. પરમારે ખુબ સકરાત્મક રીતે સાંભળી આ બાબતે મુખ્યમંત્રીને રજુઆત કરી યોગ્ય કરશે એની બાહેંધરી આપી હતી.
આ તકે એચ. ટાટના પ્રમુખ વી. સી. ઝાલા, મહામંત્રી શૈલેષભાઇ પરમાર, રાજ્યસંઘના હોદેદાર પી. પી. ડોડીયા સહિતના તમામ કારોબારી સભ્યો અને આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.