સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે ત્યારે જિલ્લાની ૧૦૮ ઈમર્જન્સી એમ્બ્યુલન્સ દ્વારા લોકોને હીટવેવથી બચવા માટે શું કરવું અને શું ન કરવું તે માટે જરૂરી સૂચનો સાથે નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
હીટવેવથી બચવા આટલું કરો
• તરસ ના લાગી હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવું
• શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ના થાય તે માટે ORS દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ અને નારિયેળ પાણીનો ઉપયોગ કરો
• ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો
• વજનમાં અને રંગમાં હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરો
• આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્કીન લગાવો
• પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો
• બાળકો, વૃદ્ધો, બિમાર વ્યક્તિ કે વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ “લૂ"ના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે તેમની વિશેષ કાળજી રાખો
હીટવેવથી બચવા આટલું ના કરો
• શક્ય હોય ત્યાં સુધી બપોરના ૧૨ વાગ્યાથી ૪ વાગ્યા સુધી તડકામાં બહાર ન નીકળવું
• શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણાં જેવા કે ચા, કોફી, સોફટ ડ્રિક્સ ના લેવા
• મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહારનો ઉપયોગ ટાળવો
*લૂ લાગેલ વ્યક્તિની પ્રાથમિક સારવાર*
• જો કોઈ વ્યક્તિને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તેના માથા પર પાણી રેડો
• શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઇ રહે તે માટે ORS દ્રાવણ અથવા લીંબુ પાણી આપો
• લૂ લાગેલ વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર લઇ જવા
• જો શરીરનું તાપમાન સતત વધતું હોય, માથાનો અસહ્ય દુઃખાવો હોય, નબળાઇ હોય, ઉલટી થતી હોય કે બેભાન થઇ જાય તો તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવવી.