સુરેન્દ્રનગર પીજીવીસીએલ દ્વારા સલામત રીતે મકરસંક્રાંતિ પર્વ ઉજવવા માટે જિલ્લાના નાગરિકોને જરૂરી સૂચનો અનુસરવા અનુરોધ
સુરેન્દ્રનગર પીજીવીસીએલ દ્વારા સલામત રીતે મકરસંક્રાંતિ પર્વ ઉજવવા માટે જિલ્લાના નાગરિકોને જરૂરી સૂચનો અનુસરવા અનુરોધ કરવામાં આવ્યો છે. અધિક્ષક ઈજનેર, પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરી, સુરેન્દ્રનગર દ્વારા ઉત્તરાયણ પર્વ ઉત્સાહ અને વીજ સલામતીપૂર્વક ઉજવવા તથા વીજ અકસ્માત નિવારવા માટે પતંગ ચગાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા અનુસાર પતંગ કે દોરી વીજળીના થાંભલા કે તારમાં ફસાઈ જાય તો તેને લેવા માટે થાંભલા પર ચઢશો નહિ. વીજળીના તાર કે કેબલને અડકશો નહિ. વીજળીના વાયર કે તાર ઉપર પડેલ પતંગ લેવા લંગર નાખશો નહિ. તેમ કરવાથી વીજળીના તાર ભેગા થતા મોટા ભડાકા થવાની, તાર તુટી જવાની, અકસ્માત થવાની તેમજ વીજ વપરાશના સાધનો (ઉપકરણો) બળી જવાની સંભાવના રહે છે. ધાતુના તાર કે મેગ્નેટિક ટેપ બાંધીને પતંગ ઉડાડશો નહિ. તેમ કરવાથી વીજળીના તારને અડકતા વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માતની સંભાવના છે. નજીવી કિંમતના પતંગ માટે આપની અણમોલ કિંમતી જિંદગી જોખમમાં ના મુકશો તેનો ખ્યાલ રાખો. ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરવો નહિ. તેનાથી વીજળીના વાયર કપાઈ શકે છે, જેથી અંધારપટ તેમજ વીજ અકસ્માત થઈ શકે છે. વીજ વાયરો પસાર થતા હોય તેની સાવ નજીકથી પતંગ ઉડાડશો નહિ.
તો, ચાલો સૌ સાથે મળી, અકસ્માત ન સર્જાય તેની સાવચેતી રાખીએ તથા પોતાનાં બાળકોની સાથે રહી સંપૂર્ણ સલામતી સાથે ઉત્તરાયણનો ઉત્સવ ઉમંગથી ઉજવીએ.
તો, ચાલો સૌ સાથે મળી, અકસ્માત ન સર્જાય તેની સાવચેતી રાખીએ તથા પોતાનાં બાળકોની સાથે રહી સંપૂર્ણ સલામતી સાથે ઉત્તરાયણનો ઉત્સવ ઉમંગથી ઉજવીએ.