તાજેતરમાં રાજયમાં ૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવમાં આવ્યો હતો. ત્યારે હવે રાજ્યમાં મહાનગરપાલિકાઓની સંખ્યા ૧૭ અને નગરપાલિકાઓની સંખ્યા ૧૪૯ થશે. ત્યારે આ તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનરની નિમણુંક કરાઈ છે.
જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં તાજેતરમાં નવરચિત ૯ મહાનગરપાલિકાઓના કમિશ્નરશ્રીઓ, વહીવટદાર કલેકટરશ્રીઓ તેમજ અન્ય અધિકારીઓની ગાંધીનગર ખાતે એક દિવસીય કાર્યશાળા યોજાઈ હતી.
મુખ્યમંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, રાજ્યના ઇતિહાસમાં એક સાથે 9 નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય આયોજનબદ્ધ શહેરી વિકાસની ગતિ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલ 'વિકસિત ભારત @ 2047'ના સંકલ્પને સાકાર કરવા સુદ્રઢ શહેરી વિકાસ આયોજનથી વિકસિત ગુજરાત બનાવવા રાજ્ય સરકાર આગળ વધી રહી છે.