રાજયમાં શાળાઓમાં લાંબા સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકોને બાળકો તેમજ ગામલોકો સાથે લાગણી ભર્યા સંબંધો બની જાય છે. ગામ નાનુ હોવાથી શિક્ષકો પોતે વિધાર્થીઓ સહીત તેમના વાલીઓ સાથે સંપર્કમાં વધુ રહે છે. જયારે બાળક સ્કૂલે ન આવે તો શિક્ષકો પોતે વાલીનો સંપર્ક કરી બાળક (વિધાર્થી) ની માહિતી મેળવી યોગ્ય કારણ જાણી બાળકને સ્કૂલે આવવાનો આગ્રહ રાખતા હોય છે. જેમા ખાસ કરીને ગામના એક તલાટી અને શિક્ષક (કર્મચારી) સતત ગામ લોકોના સંપર્કમાં રહેતા આત્મીયતાના સંબંધો વધુ મજબુત જોવા મળે છે. ત્યારે જીલ્લાના પાટડીના પાડીવાડા ગામે એક સાથે ગામના ત્રણ શિક્ષકોની બદલી થતા તેમજનો વિદાય કાર્યક્રમમાં ગામ ચૌધાર આસુએ રડી પડયુ હતુ.
આ અંગેની વિગત મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના પાડીવાડા ગામે ૧૭ વર્ષ નોકરી કરતા શિક્ષકો શક્તિ ઠાકોર, ગોવિદ સોલંકી તેમજ પરસોત્તમ મકવાણા ત્રણેયની એક સાથે બદલી થતા ગ્રામજનોએ જાતે ફાળો એકત્ર કરી સન્માનભેર શિક્ષકોનો વિદાય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે વિદાય કાર્યક્રમ બાદ પાડીવાળા ગામે વિધાર્થીઓ સહીત ગામના રહીશો પણ ચોંધાર આંસુ સાથે હિબકે ચડતા નજરે પડયા હતાં. જયારે આ ત્રણેય શિક્ષકોની બદલીમાં બે શિક્ષકોની પાટણ જિલ્લા, એકની પીપળીધામ ખાતે બદલી થઇ હતી.
આ યોજાયેલ વિદાય કાર્યક્રમમાં શિક્ષકો દ્વારા શાળાના બાળકોને અભ્યાસ અર્થે એક એલઇડી ટીવી સહીત સરસ્વતી માતાજીનું મંદિર અને રૂ.૧૫૦૦ શાળાને ભેટ અને ત્રણ શિક્ષકોએ ગામમાં રૂ. ૫૧૦૦ ભેટ આપ્યા હતા. આ વિદાયના કાર્યક્રમમાં ગ્રામજનોએ વિદાય લઇ રહેલા શિક્ષકો સાથે શાળાના દરેક શિક્ષકો, ગામના તલાટીને પણ ફુલહાર શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ.